કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/પરવરદિગાર દે

Revision as of 14:07, 14 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯. જીવન બની જશે

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે.
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!
મારું છે એવું કોણ જે બંધન બની જશે!
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
(આગમન, પૃ. ૧૯)