અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/રાઘવનું હૃદય

Revision as of 05:32, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


રાઘવનું હૃદય

સુન્દરમ્

મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવતણું,
તજી જેણે સીતા પિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.

અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાનો વ્હોર્યો પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ;
વળી જેને કાજે વનવનમહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખો ભરીભરી કશાં આંસુ બહવ્યાં
અને નાથ્યો અબ્ધિ, દશશિરશું સંગ્રામ રચિયો;
અને જેને પાછા નિજ હૃદયસોડે ગ્રહી સુખે.
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભવોની સહચરી,
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહટ કશા!
પૂછ્યા પ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.

ક્ષણમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે મુખ નિરખવા રે નવ ચહ્યું,
હતી જે પોતાનું હૃદય બીજું, જે અમ્રત સમી
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી —
અરે તેને જોવા ચિરવિરહ આરંભ સમયે
— જરા જોઈ લેવા મન નવ કર્યું; માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા ન બને.
અને જે જેતાએ દશશિરની સામે કપિદ લો
લીધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જિરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા કશું કઠિન તે વજ્જર સમું!

મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાઘવતણું,
તજી જેણે સીતા વિપળમહીં દિવ્યાર્થ સ્ફુરતાં.