અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચમકે ચાંદની

ઉમાશંકર જોશી

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.

૯-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)




ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5