આચમની/૪૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૨

ત્યાગરાજના પિતાએ અવસાન પહેલાં પોતાની સંપત્તિ બંને પુત્રો વચ્ચે વહેંચી આપી. ત્યાગરાજના ભાગે રામની સુવર્ણમૂર્તિ આવી. જાણે વિશ્વનો સમસ્ત વૈભવ તેમને મૂર્તિમંત બની મળી ગયો. પણ ભાઈને ઈર્ષા આવી. તેણે રામની મૂર્તિને નદીમાં ફેંકી દીધી. ત્યાગરાજનું જાણે સર્વસ્વ હરાઈ ગયું. કેટલાયે દિવસ તેમણે રડીરડીને, ખાધા-પીધા વિના કાઢ્યા. એક દિવસ તે જુએ છે તો પોતાની ઈષ્ટમૂર્તિ નદીના પટ પર આવી પડી છે. ત્યાગરાજની ભક્તિધારાએ તેમને પોતાના સ્વામીનો મેળાપ કરાવી આપ્યો અને પોતાના અંતર્યામી રામને પ્રસન્ન કરવા તેમના કંઠમાંથી મધુર ગીતોની સરયુ વહી નીકળી. ત્યાગરાજના સંગીતથી મુગ્ધ બની તાંજોરના મહારાજાએ તેમને પુષ્કળ ધન આપવા માંડ્યું ત્યારે ત્યાગરાજે કહ્યું : ‘જમીન, જાગીર અને ધન-વૈભવને ધિક્કાર છે. હું જો તેને જ મૂલ્યવાન માનતો હોત તો રામની સોનાની મૂર્તિ વેચીને ધનવાન બની ગયો હોત. દુનિયાના સુખ-ભોગ મારી હથેળીમાં આવી જાત. પણ મારું મન આવા ઉપરછલ્લા સોનેરી રંગથી રાજી થતું નથી. મારું મન તો રાજી થઈ ગયું છે ભીતરના સૌંદર્ય ૫૨. આ પ્રિયવર રામની મોહિનીમાં પડીને મેં તેની પ્રતિમા ન વેચી.’ વાલ્મીકિ, તુલસીદાસ પછી રામનું મહિમાગાન ત્યાગરાજને કંઠેથી સરી પડ્યું છે. ત્યાગરાજના અંતિમ દિવસો કાવેરીના તટ પર ગયા. તેમણે કાવેરીનું સુંદર વર્ણન કર્યું છે. પોતાની જીવનસરિતાને જાણે તેમણે કાવેરીમાં વહેતી જોઈ છે. ત્યાગરાજ કહે છે : ‘આ મહારાજ્ઞી કાવેરી પોતાના સ્વામી સમુદ્રને મળવા માટે ભવ્યરૂપે વહી રહી છે. વચ્ચે વચ્ચે તે સહુની ઈચ્છા પૂરતી જાય છે. તેને મન કોઈ જ ભેદભાવ નથી. ક્યારેક ઉતાવળી ચાલે, ક્યારેક ગર્જના કરતી, ક્યારેક મધુર-મંદ ગતિએ, બંને કિનારે કોકિલના ટહુકા સુણતી એ તો વધે જાય છે. એક પછી એક મંદિરને સ્પર્શ કરતી, એક પછી એક દેવતાની પૂજા કરતી એ વહી જાય છે. જરા એના ભણી જુઓ તો !’ ત્યાગરાજની રામમયી, અમૃતભરી સંગીતધારા કાવેરીની જેમ જ વહી રહી છે. તેમાં સ્નાન કરનારને પેલી સુવર્ણમૂર્તિ ચેતનામય બનીને મળે તો નવાઈ નહીં

***