કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...

ચિનુ મોદી

આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
(ઇર્શાદગઢ, પૃ.૩૬)