કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪. બેવતનનું દર્દ–’૪૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. બેવતનનું દર્દ–’૪૩


ભીડેલ યમબાહુપાશ સમ દ્વાર આ ઊઘડ્યાં,
વટાવી જઈ તુંગ આ ગઢ તુરંગનો, નીસર્યો.
અહો વતન! મર્દના ભડ પ્રયાસની ભોમકા!
હસન્મુખ દૃગે કર્યાં નમન ભાવભીનાં તને.

પરંતુ અય માતૃભોમ! સળગી ગયો પેખતાં
બધે હરપ્રયત્નનો કરુણ ફેજ, પ્રચ્છન્ન શું
છતાંય જલતો હશે ચરમ દ્રોહ, અદ્રોહમાં?
–અરેરે ટુકડા થયા સ્મિતતણા, થયો ખિન્ન હું.

ભલે સળગતી પુનઃ વ્રણ વલૂરતાં વેદના,
તુરંગમહીં કે પછી સમરમાં કશો ભેદ ના.
પડો જખમ રંધ્રરંધ્ર મુજ રાષ્ટ્રના શૌર્ય પે,
હરેક પરતંત્રને દરદ ખોતરી કોરજો!

છતે ચરણ પંગુપંગુ પગ માંડવા ક્યાં સુધી?
છતે વતન દગ્ધ, બેવતન ક્યાં ભમું? ક્યાં સુધી?
(સિંજારવ, પૃ. ૩૪)