ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/સંપાદકીય...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદકીય...

કોઈ પણ સંવેદનશીલ સર્જક યુગસંદર્ભથી અસ્પૃષ્ટ રહી શક્તો નથી. દરેક યુગને પોતાની આગવી મુદ્રા હોય છે, આગવો મિજાજ હોય છે, આગવું સંવેદન હોય છે અને કોઈ પણ સર્જક માટે પોતાના યુગની મુદ્રા. મિજાજ, સંવેદનની અભિવ્યક્તિ એક મોટો પડકાર હોય છે. આ યુગચેતનાને શબ્દરૂપ આપવા માટે સર્જક અવનવીન તરેહોની શોધ કર્યા કરતો હોય છે. આ શોધપ્રક્રિયામાંથી જ નવોન્મેષો પ્રગટી આવતા હોય છે. મુક્ત દીર્ઘ કવિતા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રગટેલો આવો જ એક નવોન્મેષ છે. “છિન્નભિન્ન છું” કાવ્યથી આરંભાયેલી મુક્ત દીર્ઘ કાવ્યોની સર્જનયાત્રા આજપર્યંત અનવરત ચાલતી રહી છે. આ મુક્ત દીર્ઘ કાવ્યોની સર્જનપરંપરાનો આછો ખ્યાલ મળી રહે અને મુક્ત દીર્ઘ કવિતાની identity સ્પષ્ટ થાય એવા આશયથી અમે આ સંપાદન કરવા પ્રેરાયા છીએ. આ પ્રકારનું આ પહેલું જ સંપાદન છે. આશા છે કે સૌને ગમશે. આ સંપાદનમાં કાવ્યકૃતિઓ સમાવવા માટે સંમતિ આપવા બદલ અમે સૌ કવિમિત્રોના આભારી છીએ. આ પ્રકારનું સંપાદન પ્રગટ કરવું એ આર્થિક દૃષ્ટિએ એક સાહસ જ ગણાય તેમ છતાં બાબુભાઈએ આ સાહસ કરવાનું હોંશભેર સ્વીકાર્યું તે માટે અમે એમના ઋણી છીએ. ડૉ. ચિનુ મોદી અને ડૉ. મણિલાલ પટેલે આ સંપાદનમાં અંગત રસ લીધો છે. એમનો આભાર માનીશું તો એમને નહીં જ ગમે. આ સંપાદનને શક્ય બનાવવામાં પ્રત્યક્ષપરોક્ષ મદદ કરનાર સૌનો અમે આભાર માનીએ છીએ.

સંપાદકો