ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલકલશચરિત્ર-ચોપાઈ-રાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ : મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલા ૧૩૫ કડીના આ રાસનો રચનાસમય ઉપલબ્ધ નથી. એના કર્તા સર્વાનંદસૂરિ છે, પરંતુ એ સર્વાનંદસૂરિ કયા તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. ‘ગુજરાતના સારસ્વતો’ એ ધનપ્રભસૂરિશિષ્ય કોઈ સર્વાનંદસૂરિ આ કૃતિના રચયિતા હોવાનું જણાવ્યું છે. પરંતુ એના પરથી કર્તૃત્વની કોઈ વિશેષ સ્પષ્ટતા કરી શકાય એવું નથી. કૃતિની ભાષા અને તેની જૂનામાં જૂની ઈ.૧૪૫૮ની ઉપલબ્ધ થતી પ્રતને આધારે કૃતિ ઈ.૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. અવંતીનગરીના રાજા વયરસિંઘના પુત્ર મંગલકલશના વિલક્ષણ સંજોગોમાં ચંપાપુરની રાજકુંવરી ત્રિલોકસુંદરી સાથે થયેલા લગ્નની કથાને આલેખતી આ કૃતિમાં મંગલકલશ અને ત્રિલોકસુંદરીનાં પાત્રો ઠીકઠીક ઊપસ્યાં છે. તત્કાલીન સમાજચિત્ર એમાં કેટલુંક ઊપસતું હોવાને લીધે પણ એ ધ્યાનાર્હ બને છે. [જ.ગા.]