ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/સર્જકલક્ષી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. સર્જકલક્ષી
૧. શીર્ષક : કવિશ્રી બાલમુકુન્દ દવેની સાહિત્ય – સાધના
સંશોધક : સુભદ્રાબહેન એમ. પટેલ
માર્ગદર્શક : ડૉ. જયંતીભાઈ એમ. પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૨

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. ગુજરાતીનાં જાણીતા કવિ તથા સાહિત્યકાર શ્રી બાલમુકુન્દ દવેની સાહિત્યસૃષ્ટિનો અભ્યાસ અહીં રજૂ કરાયો છે. બાલમુકુન્દ દવેનો જન્મ, ઉછેર, બાળપણ, ઘડતર પરિબળો, સમકાલીન દેશકાળ વગેરેનો વિગતે પરિચય અહીં અપાયો છે. બાલમુકુન્દ દવેની કવિતા (બાળકાવ્યો સિવાય), તેમનું ગદ્યસાહિત્ય, વિવેચન સાહિત્ય વગેરેનો અભ્યાસ અહીં રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૨. શીર્ષક : રણજિતરામ વાવાભાઈ મહેતા : એક અધ્યયન
સંશોધક : હર્ષદ પરમાર
માર્ગદર્શક : પ્રો. વિનોદ અધ્વર્યુ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સુધારકયુગના મહત્ત્વના સમાજસુધારક તથા સાહિત્યકાર રણજિતરામ વાવાભાઈ મહેતાના સર્જનકાર્યને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ થયો છે. આરંભે રણજિતરામ મહેતાના જન્મ, ઉછેર, બાળપણ, ઘડતર પરિબળો, અભ્યાસ વગેરે વિશે માહિતી આપી રણજિતરામના ઉમદા વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. ત્યાર બાદ સર્જક રણજિતરામ તરીકે તેમનાં પ્રદાનો મૂલવતાં નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર એમ એમનાં વિવિધ સર્જક પાસાઓનો પરિચય રજૂ કર્યો છે. ઉપરાંત રણજિતરામનાં સાહિત્યિક સંસ્થાઓમાં પ્રદાન તથા સમાજસુધારાની પ્રવૃત્તિઓનો ખ્યાલ પણ આપ્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૩. શીર્ષક : મનુભાઈ ત્રિવેદી : એક અધ્યયન (‘ગાફિલ’-‘સરોદ’)
સંશોધક : ભીખાભાઈ સોલંકી
માર્ગદર્શક : ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધકે ગઝલકાર શ્રી મનુભાઈ ત્રિવેદી (ગાફિલ, સરોદ)ની ગઝલોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં મનુભાઈનાં જન્મ, બાળપણ, ઉછેર, અભ્યાસ, ઘડતર પરિબળો તથા તેમની સર્જક પ્રતિભાનો પરિચય રજૂ કર્યો છે. ત્યાર બાદ ગઝલનાં સાહિત્ય સ્વરૂપનો પરિચય કરાવી ગુજરાતી ગઝલ પરંપરામાં ગઝલકાર મનુભાઈ ત્રિવેદીનું સ્થાન દર્શાવ્યું છે. મનુભાઈના ‘બંદગી’ ગઝલસંગ્રહની ગઝલો તથા તેમનાં ભજનોનો રસાસ્વાદ રજૂ કર્યો છે. મનુભાઈનાં અગ્રંથસ્થ સાહિત્ય (નાટક, નવલિકા, ચિંતન) વગેરે વિશે પણ ચર્ચા રજૂ કરી છે. અંતે આધ્યાત્મિક શબ્દોની સમજૂતી સાથેની સૂચિ રજૂ કરી છે.

૪. શીર્ષક : સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ : વ્યક્તિ અને વાઙ્મય
સંશોધક : આનંદકુમાર જે. વસાવા
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ સુધારકયુગના મહત્ત્વના સર્જક ઈચ્છારામ સૂ. દેસાઈનાં સાહિત્યસર્જનને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ઈચ્છારામના જીવન-વ્યક્તિત્વ સંબંધી માહિતી તથા તેમની સામાજિક પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો છે. ત્યાર બાદ ઈચ્છારામ દેસાઈના પ્રદાનનો પરિચય કથાસાહિત્ય, નાટ્યસાહિત્ય, ચરિત્રસાહિત્ય, ચિંતનસાહિત્ય એમ ચાર વિભાગમાં રજૂ કર્યો છે. ઈચ્છારામની બહોળી સંશોધન, સંપાદન તથા અનુવાદપ્રવૃત્તિનો ખ્યાલ પણ રજૂ કર્યો છે. પત્રકાર ઈચ્છારામનો પરિચય પણ અહીં મળે છે. છેલ્લે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૫. શીર્ષક : કવિ અને નિબંધકાર : અનિલ જોશી
સંશોધક : મોહન પરમાર
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતી ભાષા - સાહિત્યના ઉત્તમ કવિ તથા નિબંધકાર અનિલ જોશીને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં જ કવિ શ્રી અનિલ જોશીનાં જન્મ, બાળપણ, અભ્યાસ, ઘડતર પરિબળો તથા તેમનાં સાહિત્ય પ્રદાનનો પરિચય રજૂ કર્યો છે. અનિલ જોશી રચિત ‘કદાચ’, અને ‘બરફના પંખી’ કાવ્યસંગ્રહોમાંની કાવ્યસૃષ્ટિનો પરિચય કરાવ્યો છે. ત્યાર બાદ નિબંધકાર અનિલ જોશીના ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠ’, ‘જળની જન્મોતરી’ નિબંધસંગ્રહોનો વિસ્તૃત અભ્યાસ રજૂ કર્યો છે. કવિ તથા નિબંધકાર અનિલ જોશીની વિશેષતાઓ-મર્યાદાઓનો પરિચય કરાવ્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૬. શીર્ષક : સ્વ. શ્રી નૃસિંહ વિભાકરનું ‘આત્મનિવેદન’ : એક અભ્યાસ
સંશોધક : સતીશ એસ. પટેલ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધને છ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ નિબંધમાં ‘આત્મનિવેદન’ ગ્રંથમાંના લેખોને સંક્ષેપમાં મૂકવામાં આવ્યા છે. પ્રકરણ-૧માં શ્રી નૃસિંહ વિભાકરનાં જીવન અને સાહિત્યસર્જન વિશે માહિતી આપવામાં આવી છે. પ્રકરણ-રમાં શ્રી નૃસિંહ વિભાકરનાં ‘સાહિત્ય અને કલાવિષયક લેખો’નો સંક્ષેપ રજૂ કરવામાં આવ્યો છે. પ્રકરણ-૩માં ‘સમાજવિષયક લેખો’ના સંક્ષેપ સાથે જ એ લેખોમાં દર્શાવેલી બાબતો સાંપ્રતમાં પણ કેવી રીતે પ્રસ્તુત બની રહે તે અંગે નિર્દેશ થયો છે. પ્રકરણ-૪ ‘રાજકીય વિષયકલેખો’માં શ્રી નૃસિંહ વિભાકરે વિશ્વની મહાન વ્યક્તિઓ અને રાજકીય ઘટનાઓ સંદર્ભે લખેલા લેખોનો સંક્ષેપ રજૂ થયો છે. આ પ્રકરણમાં ૨૯ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકરણ-૫ ‘પ્રકીર્ણ લેખો’માં તેમણે વિવિધ સાહિત્ય-સ્વરૂપ ક્ષેત્રે કરેલ અર્પણ તેમ જ તેમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ-મર્યાદાઓ દર્શાવતા લેખોની માહિતી સંક્ષેપમાં આપવામાં આવી છે. પ્રકરણ-૬માં શ્રી નૃસિંહ વિભાકરની ‘ભાષાશૈલી અને ગદ્યશૈલી’નો પરિચય આપવામાં આવ્યો છે. પરિશિષ્ટ-૧માં અપ્રગટ નાટકોના અંશો તથા પરિશિષ્ટ-૨માં અપ્રગટ લેખોના અંશો અપાયા છે.