ચંદ્રહાસ આખ્યાન/મધ્યકાલીન સાહિત્યનો વિશેષ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મધ્યકાલીન સાહિત્યનો વિશેષ

ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રેજ પ્રજા અને એમની સંસ્કૃતિનો સંપર્ક આપણને થયો એ પહેલાંનો – લગભગ ૧૮મી સદી પહેલાંનો સમય. માનવસમાજનું રૂપ તો ત્યારે પણ આનંદ અને દુખ, રાગ અને દ્વેષ, ઉદારતા અને સંકુચિતતા, વેર અને મૈત્રી – એવાં વૃત્તિ અને વ્યવહારોવાળું હતું. પરંતુ આવા માનવજીવન પર ધર્મનો પણ એક વ્યાપક પ્રભાવ હતો. અનેક સાધુ-સંતો, કથાકારો-કીર્તનકારો તરફથી પણ પ્રજાને ઈશ્વરભક્તિના સંસ્કારોનું પોષણ મળતું હતું. પદ-ભજન-કીર્તન-આરતીનાં ગાન તથા પુરાણીઓની કથાઓનું શ્રવણ લોકોના જીવનનો, એમનાં સુખ-શાંતિ-શ્રદ્ધાનો મહત્ત્વનો ભાગ હતાં. પ્રાચીન સંસ્કૃતિના વારસારૂપ પંથો-સંપ્રદાયો પણ હતાં – શૈવ, વૈષ્ણવ, જૈન, ઈસ્લામ, વગેરે. પરંતુ દરેક પોતપોતાનો ધર્મ પાળે એવો સમ-ભાવ હતો એ સમય ગુજરાતી ભાષામાં નરસિંહ અને મીરાં, પ્રેમાનંદ અને અખો, સમયસુંદર અને રવિસાહેબ, શામળ અને દયારામ, સહજાનંદી સાધુ-કવિઓ અને મુસ્લિમ-ખોજા કવિઓ, દલિતવર્ગી કવિઓ અને સ્ત્રી કવિઓથી રળિયાત હતો. આશરે ૧૪મી-૧૫મી સદીથી ૧૯મી સદીની અધવચ સુધી એ પ્રવાહ વહેતો રહ્યો. આ ભક્ત કવિઓએ નર્યું ભક્તિગાન કે કથાગાન કર્યું ન હતું, એમને કવિતા અને કથાની પૂર્વકાલીન-તત્કાલીન પરંપરાઓનો તેમ જ સંસ્કૃત સાહિત્યની પરંપરાઓનો પણ પરોક્ષ ને ક્યાંક સીધો પરિચય અને સમજ હતાં. પોતાનું વિશિષ્ટ કવિકૌશલ પણ હતું. એથી બહુ તેજસ્વી અને પ્રતિભાશાળી સર્જકો એ સમયે પણ થયા જ છે. –શ્રે.