દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૬. મોતના ભય વિષે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦૬. મોતના ભય વિષે

કુંડળિયા


ડર રે દુનિયાદાર નર, ગાફલ ન ફર ગમાર,
કાળ મહા વિકરાળ છે, ખુદ તુજને ખાનાર;
ખુદ તુજને ખાનાર, જાણ ખાધો કે ખાશે,
નાસી શકે તો નાશ, પછી પસ્તાવો થાશે;
દાખે દલપતરામ, રામ ભજી આજ ઉગર રે,
શ્રી હરિનું લે શરણ, મરણથી મનમાં ડર રે.
ખાધા પૂર્વજ પુરુષને, તું ગણ તેનાં નામ,
પિતા પિતામહના પિતા, તે ક્યાં ગયા તમામ;
તે ક્યાં ગયા તમામ, જબર થઈ કોઈ ન જીત્યા,
પચ્યા કાળને પેટ, હતા નહતા થઈ વીત્યા;
દાખે દલપતરામ, નહીં રહિયા નિર્બાધા,
કાળે એમ કરોડ, પુરુષ પૂર્વજને ખાધા.
તારા તારી હેડીના મિત્ર ગયા કઈ મરદ,
તોપણ તું તેનું કશું દિલમાં ન ધરે દરદ;
દિલમાં ન ધરે દરદ, ગરદ થઈ ગયો ગુમાને,
ભૂલી ગયો નિજ ભાન, વિષય રસ વારુણિ પાને;
દાખે દલપતરામ, માની મન બોધ અમારા,
સ્નેહી ગયા સંભાર, તારી હેડીના તારા.
કંઈ રાજા રાણા ગયા, ગયા કંઈક કંગાલ,
કઈ પૂરા પંડિત ગયા, ગયા મૂર્ખ નિર્માલ;
ગયા મૂર્ખ નિર્માલ, રહ્યા તે નહિ રહેવાના,
એક દિવસ અણચિંત, જગત છોડી જાવાના;
દાખે દલપતરામ હોય, દુર્બલ કે તાજા,
સરખે માથે સર્વ કોણ રાણા કે રાજા.
સુખમાં કાઢ્યા સર્વ દિન, કે દુઃખમાં દિનરાત,
સપનાંતર સમ સર્વ તે, વિસરી જાશે વાત;
વિસરી જાણે વાત, નિત્યા દિન જુઓ વિચારી,
કદી દીધો ઉપવાસ, જમ્યા કદી સુખડી સારી;
દાખે દલપતરામ, આજ ન મળે રસ મુખમાં,
તેમ ગયા તે ગયા, દિવસ દુઃખમાં કે સુખમાં.
સુખે ગયેલા સમયનું, તજો અહંપદ આપ,
દુઃખે ગયેલા દિવસનો, શો કરવો સંતાપ;
શો કરવો સંતાપ, પાપ કે પુણ્ય પકડશે,
જેનો જરૂર જવાબ, પૂછતાં દેવો પડશે;
દાખે દલપતરામ, લેખી દિન તેજ લખેલા,
નહિ બીજા નોંધાય, દુઃખે સુખે ગયેલા.
(સમાપ્ત)