પુરાતન જ્યોત/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

સુલભ મેઘાણી સાહિત્ય' યોજનાનો પહેલો પુસ્તક-સંપુટ લેખકની ૨૮મી પુણ્યતિથિએ પ્રગટ થાય છે. ‘તુલસી-ક્યારો', ‘પ્રતિમાઓ' અને ‘પુરાતન જ્યોત' એ ત્રણ પુસ્તકોનો આ સંપુટ અગાઉથી ગ્રાહક બનનાર સાતેક હજાર વાચકોને દસ રૂપિયાની કિંમતે આપી શકાયો છે. યોજનાના બીજા તબક્કા રૂપે, પ્રકાશન પછી દોઢેક મહિના સુધી (૩૦ એપ્રિલ, ૧૯૭૬ સુધી) એ રૂ. ૧૨માં મળશે; એ પછી છાપેલી કિંમતે (રૂ. ૨૧માં) વેચાશે. બિન-ધંધાદારી ધોરણે આ પ્રકાશન થતું હોવાથી અને વહીવટી અને બીજી કરકસરને કારણે આટલી ઓછી કિંમતે આ પુસ્તકે આપી શકાય છે. (દા.ત. ત્રણેય પુસ્તકોનાં મળીને મૂળ લગભગ ૭૭૦ પાનાં હતાં, પણ છાપકામમાં કરકસર કરવાથી – પણ એક પણ શબ્દની કાપકૂપ વિના પાનાંની સંખ્યા પાંચમા ભાગ જેટલી ઓછી થઈ છે.) આ વખતના અનુભવે વિચાર આવ્યો કે આગોતરા ગ્રાહકો નોંધવાનું ખરચાળ તંત્ર ચલાવવું (અને આગોતરા ગ્રાહકોને બે-ત્રણ મહિનાની રાહ જોવરાવવી) તેને બદલે પુસ્તક તૈયાર કરીને જ આટલી ઓછી કિંમતે વેચાણમાં મૂકી દીધાં હોય તો? એમ કરવા માટે ઓછા વ્યાજની લાખેક રૂપિયાની મૂડીની જોગવાઈ થઈ જશે તો હવે પછીના સંપુટો એ રીતે બહાર પાડવાની ધારણા છે. દૂરના અને સમીપના, પરિચિત અને અણજાણ એવા અનેક મિત્રોએ અને આપણી કેટલીક ઉત્તમ શિક્ષણ-સંસ્થાઓના આચાર્યોએ ઠેરઠેરથી આ યોજનાને ઉમળકાથી આવકાર આપ્યો છે અને પોતાની આસપાસનાં કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચે એમાં એ નિમિત્ત બન્યા છે, એનો અનુભવ સ્પર્શી જાય એવો છે. એ સહુનો અહેસાન પણ કેમ કરી માનવો? – કારણ કે આ કામને તો એમણે પિતાનું જ ગણીને અપનાવી લીધું છે. એ સહુનો સદ્ભાવ માથે ચડાવીએ છીએ.