બહુરંગી/અમારી નાડ તમારે હાથ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમારી નાડ તમારે હાથ

ચંદ્રિકા પંડ્યા

માનવીની નાડ ઈશ્વરના અથવા વૈદના હાથમાં હોય એ જમાના ગયા. જેટલા જૂના રોગોના ઉપચાર શોધાયા હોય તેનાથી અનેકગણા નવા રોગો જડતા રહે તેવા આજના જમાનામાં આપણી નાડ ડૉક્ટરોના હાથમાં જ રહેવાની. જોકે જેમના હાથમાં આપણી નાડ સોંપાઈ છે તેવા આ ડૉક્ટરો હાથમાં નાડ લઈને રોગ પારખવાની વૈદોની જુનવાણી રીતથી દરદીને તપાસતા નથી. આજના રોગ પણ આધુનિક જીવનનું પ્રતિબિંબ પાડતા હોય તેવા અટપટા દ્વિધાયુક્ત હોય છે. આધુનિક માનવી જેવા રહસ્યમય, કળવા ભારે મુશ્કેલ તેવા આ રોગોનું રહસ્ય નાડ પકડવાથી ઝડપાઈ જાય તે સંભવિત નથી. આ રોગોને પારખવા તો શરીરના વિવિધ કામનાં-નકામાં તત્ત્વોની તપાસ કરાવવી પડે. વધુમાં જરૂર લાગે તો શરીરના કોઈ અંગ કે અંગોનો એક્સ-રે ફોટો પડાવવાનો આદેશ પણ ડૉક્ટર આપી શકે. આપણી નાડ જેના હાથમાં છે, તેના સર્વ આદેશોનું પાલન કરવું જ રહ્યું. આદેશ પ્રમાણેની તપાસ કરાવડાવી તેનાં પરિણામ રજૂ કરવાં રહ્યાં. આ પરિણામોને ડૉક્ટર લમણે આંગળી દઈ, ઊંડા વિચારમાં ડૂબી જઈ તપાસે. દરદી ફોટો પડાવવા જેટલો સદ્ભાગી હોય તો ફોટો રજૂ કર્યે તેને ત્રણ-ચાર વખત આમતેમ ફેરવીને જુએ. આ બધું પરિણામોનાં પૃથક્કરણ અને સંયોજન કર્યા બાદ ડૉક્ટરને નાડ પરખાઈ લાગે અને કયો રોગ છે તે વિશેનું પોતાનું અનુમાન તે રજૂ કરે. જોકે આ તબક્કે, સલાહકાર ડૉક્ટર પાસે જવાના તબક્કે, સીધો જ આવે તે દરદી બીજો, ભારતનો નહીં. ભારતનો દરદી કુદરત, ઈશ્વર, ઘરગથ્થુ ઉપચારો અને જનરલ ડૉક્ટર પાસે કશું ન વળે પછી જ નિષ્ણાત પાસે જાય. જ્યારે ભારતની કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ દરદીમાં પરિણમે ત્યારે પ્રથમ વિચારવાનું કે આટલી નાની વાતમાં ડૉક્ટર પાસે શું દોડી જવું? તે દર્દના સ્વયં મટી જવાની રાહ જુએ છે. પછી ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનું કામ કરે છે. માને છે કે ઈશ્વર સારું કરી દેશે. છતાં હઠીલો રોગ ન હટે તો તે ઘરગથ્થુ રોગ ડૉક્ટર પાસે લઈ જવા જેટલો તગડો બને છે. કુદરત, ઈશ્વર અને ઘરગથ્થુ ઉપચારોમાં રાખેલી શ્રદ્ધાએ રોગના સ્વાસ્થ્યને સારું એવું પોષણ પૂરું પાડ્યું હોય છે ને? દરદીને લાગે છે કે, હવે તો ડૉક્ટર મિલનનો સમય પાક્યો જ. દરદી જનરલ ડૉક્ટર પાસે જાય છે. આ તબક્કે નિષ્ણાત પાસે જવાની પ્રથમ મુલાકાતની ફી, તે પછીની અન્ય મુલાકાતોના નાનામોટા ચાંદલા અને વધુમાં સ્વખર્ચે લાવવાની દવાના ખર્ચનો બોજો વહેવા જેટલી આર્થિક સધ્ધરતા છેક નીચલા વર્ગથી ઉપલા મધ્યમ વર્ગ સુધીના ભારતીય નાગરિકમાં ક્યાંથી? આમ, ભારતીય દરદી જેના દરદ થવાના અને વધવાના મૂળમાં બેદરકારી ઉપરાંત આર્થિક દરદ પણ હોય છે, તે સ્વાભાવિક રીતે ડૉક્ટરોમાં પ્રથમ પસંદગી નિષ્ણાતને ન આપતાં જનરલ ડૉક્ટરને આપે છે. જનરલ ડૉક્ટર પણ આખરે ડૉક્ટર છે. તેને પણ દરદી પર પ્રયોગો કરવાનો વ્યવસાયસિદ્ધ હક છે અને તે ભારતનો મતદાર થોડો છે કે હકનો બરોબર ઉપયોગ ન કરી લે? તેના દ્વારા કરવામાં આવેલા પ્રવાહી દવા, ગોળી અને ઇન્જેક્શન્સના ત્રિવિધ મારાના પ્રયોગોમાંનું એકાદ તીર પુરવાર થાય અને દરદીના દરદને મારી શકે તો દરદીનું સદ્ભાગ્ય. તુક્કા નીકળે તો દરદીએ ખોટી પસંદગી કર્યાના વસવસા સાથે નિષ્ણાતને શરણે જવું જ રહ્યું. દરદ ન મટે અને કદીક દરદી મરે તોપણ દરદીનો દરદમાંથી છુટકારો થાય! પરંતુ આવડું ગજું જનરલ ડૉક્ટરોનું નથી હોતું. આવું તો નિષ્ણાતો જ કરતા હોય. જનરલ ડૉક્ટર પાસે તો દરદી કે દરદ મરવાની સંભવિતતાઓના બદલે દરદ વધી પડવાની ત્રીજી સંભવિતતા જ મોટા ભાગે હકીકત બનતી હોય છે. કુદરત, ઈશ્વરશ્રદ્ધા, ઘરગથ્થુ ઉપાયો અને જનરલ ડૉક્ટરના ચાર કોઠા ફરી આવેલો અભિમન્યુ નિષ્ણાત ડૉક્ટરના પાંચમા કોઠામાં પ્રવેશે છે. ડૉક્ટર દરદી-બકરાને સસ્મિત આવકારે છે. અંગાંગ તપાસી સલાહ આપે છે. આ સલાહની સોહામણી (હેન્ડસમ) ફી અને તે અનુસારની દવાઓના ખર્ચથી પતે તો દરદી ભાગ્યવાન; પરંતુ દરદ ડૉક્ટરની તરફેણમાં જાય તેવું અટપટું હોય તો રેડિયોલૉજિસ્ટનો ચાંદલો પણ દરદીના શિરે. દરદી ફોટો પડાવવાનો શોખીન હોય કે ન હોય તોપણ આ ફોટો પડાવ્યા વિના છૂટકો જ નહીં, કારણ નિષ્ણાત ડૉક્ટર સ્વયં જ્યારે દરદની શોધમાં ગૂંચવાયા હોય, ત્યારે આ ફોટો જ નિદાનની ગૂંચનું કોકડું ડૉક્ટરને ઉકેલી આપે છે. માટે જ તો એક્સ-રે પડાવવાના નાહક ખર્ચનો થોડો વસવસો કરી લીધા બાદ દરદી તેમ જ તેના સંબંધીઓ “આ તો દુઃખના ફોટા, આ કંઈ સુખના ફોટા થોડા પડાવવાના છે?” જેવી ઉક્તિઓ દ્વારા સમાધાન મેળવી લે છે. દરદીને શારીરિક, માનસિક અને આર્થિક હાનિ પહોંચાડતું દરદ ક્યાં લપાઈને બેઠું છે, તે રહસ્ય શોધી આપનાર આ ફોટો જ હોય છે ને? એ વાત જુદી કે ઇરાદો તે ખલનાયક રોગને શોધી અને મિટાવીને દરદીનું હસ્તધૂનન તંદુરસ્તી નામની નાયિકા સાથે કરાવવાનો હોય છે. કમભાગ્યે અહીં હિંદી ફિલ્મોથી ઊલટી પરિસ્થિતિ જોવા મળે છે. હિંદી ફિલ્મનો નાયક એની સામે પડેલા અનેક તાકાતવાન ગુંડાઓને એકલે હાથે મહાત કરી શકે છે. જ્યારે દરદીના કિસ્સામાં દરદ જ દરદીને ખૂબ હંફાવતું રહે છે. દરદીનો વિજય ફિલ્મના નાયક જેટલો સહેલો નથી હોતો. નિષ્ણાત ડૉક્ટરના અનેક અખતરાઓ છતાં દરદીને કશો ફાયદો ન જણાય એમ બને. દરદી ફરિયાદ કરે, ત્યારે ડૉક્ટર તેને કહે છે : “ધીરજ રાખો! થોડી દવા તો પેટમાં જવા દો, દવાનો કૉર્સ પૂરો થાય, ટ્રીટમેન્ટ પૂરી થાય પછી જ ફાયદો જણાય ને? “ભલા માણસ! એમ ઉતાવળે આંબા પાકતા હશે?” જોકે એ ભલા માણસના શરીરમાં વસેલો રોગ ભલો નથી હોતો. એ તો ઉતાવળે આંબા પકવી જ નાખે છે. મોડો મોડો પણ ડૉક્ટરને ખ્યાલ આવે છે કે પ્રયોગ નંબર એક નાકામયાબ ગયો! તે પછી પ્રયોગ નંબર બે અને આગળના પ્રયોગો ચાલે છે. ગાંધીજીએ જીવનમાં ‘સત્યના પ્રયોગો’ કર્યાં. ડૉક્ટરો પણ દરદીના શરીર પર સત્ય શોધવા માટે જ પ્રયોગો કરે છે. રોગને ડામવા મૂળ શોધવું જ પડે. તે વિના તો દરદના બદલે દરદી દૂર થઈ જવાનો ભય રહેવાનો, જેમ ગરીબી હટાવવાની વાતોનાં વડાથી ગરીબી હટવાને બદલે ગરીબો હટી જાય તેમ. આમ, અતિવિકસિત આધુનિક તબીબી વિજ્ઞાનની પવિત્ર ફરજ અને મુશ્કેલી નિદાનની થઈ પડી છે. ખાટલે મોટી આ ખોડ દૂર કરવા જ ડૉક્ટરોએ દરદી પર પ્રયોગો કરવા પડે છે. ઉપચારો કરે છે. અદ્યતન ઔષધો છે; પરંતુ નિદાનના એકડા વિનાનાં મીંડાં. શેરના માથે સવાશેર જેવા રોગો ડૉક્ટરોને નિદાન બાબતે જ કેવાં ગોથાં ખવડાવે છે તે કોઈ પણ દરદી સહેલાઈથી કહી શકશે કે તેની પર કેવા કેવા પ્રયોગો કરવામાં આવ્યા હતા અને છતાં ડૉક્ટરથી રોગ જ પરખી શકાતો ન હતો! આ પ્રયોગોમાં એમ પણ જણાયું છે કે ક્યારેક કાચું કપાઈ જતાં દરદી દરદની સાથે જિંદગીમાંથી પણ બહાર નીકળી ગયા હોય છે! વિદ્યાર્થી અવસ્થામાં દેડકાં અને ઉંદરો પર પ્રયોગો કરીને તબીબી વિદ્યાર્થીઓનો વાઢકાપ કરવાનો ભય એટલો દૂર થઈ ગયો હોય છે કે માનવદેહની વાઢકાપ પણ તે એ જ આસાનીથી કરી શકે છે. પ્રગતિની ક્ષણ જ એવી હોય છે કે માનવીને ભૂલથાપ ખવડાવી દે. તબીબ બની જતાં દેડકાં-ઉંદરો અને મનુષ્યો વચ્ચેનો ભેદ ભુલાઈ જાય છે! પરિણામે, દરદીઓની કરુણાંતિકાઓ શરૂ થાય તેમાં શી નવાઈ? ઑપરેશન તો ડૉક્ટરનો પનોતો પુત્ર છે. બધા પ્રયોગ નાકામયાબ નીવડે ત્યારે ઑપરેશનને શરણે ગયા વગર છૂટકો ક્યાં? સલાહની ફી લેવામાં કશી કસર તો રહી હોતી; પરંતુ ઑપરેશનની વાત તો નિરાળી જ છે. ઑપરેશન એટલે ડૉક્ટરને તડાકો પાડતો જ્યેષ્ઠ પુત્ર. આવી ઉપમા આપવાનું કારણ માત્ર એટલું જ કે સમાજમાં એવું સામાન્યીકરણ પ્રવર્તમાન છે કે વચલાં અને નાનાં સંતાનો મોટા ભાગે બેજવાબદાર હોય છે; પરંતુ જ્યેષ્ઠ પુત્ર જેનું નામ! પિતાને ન્યાલ કરી દે છે. એક વખત એક ડૉક્ટરને મેં ઘડીના છઠ્ઠા ભાગમાં એક પછી એક ઑપરેશન પર ઑપરેશન કરતાં જોયા અને હું દંગ રહી ગઈ કે ઘડીના છઠ્ઠા ભાગમાં લોકોનાં ગજવાં ખંખેરી લેવાની કલા ખિસ્સાકાતરુઓનો ઇજારો નથી! એ રહસ્ય સમજાયું કે શા માટે તબીબી વિદ્યાશાખામાં જવા વિદ્યાર્થીઓ પડાપડી કરે છે અને શા માટે વૈભવી જીવનની વાંચ્છુક યુવતીઓ લગ્ન બાબતે ડૉક્ટર યુવકો તરફ નગ્ન પક્ષપાત દાખવે છે! ઑપરેશનના કલ્પવૃક્ષની આગળ મધ્યમવર્ગના દરદીનું ગજવું હળવું કરતી સલાહ ફી તો નાનકડા છોડ જેવી ગણાય. છતાં છોડને વૃક્ષમાં ફેરવવાની હોશિયારી ડૉક્ટરમાં ન હોય એમ બને? “ઑપરેશન કરવું જ પડશે” જેવા શબ્દોનું પાણી પાઈને કોઈ પણ હોશિયાર ડૉક્ટર છોડનું વૃક્ષમાં રૂપાંતર કરી શકે. આ કથનમાં શંકા, તેની તપાસ કે સરવે કરવાની છૂટ છે. ડૉક્ટરોને કહેવું કે હૃદય પર હાથ રાખી કહો કે કારકિર્દી દરમિયાન એક પણ બિનજરૂરી ઑપરેશન કર્યું નથી. આમ કહી શકનાર કેટલા ડૉક્ટર નીકળે છે તે શોધવું રસપ્રદ રહેશે. શોધ ખૂબ સહેલી રહેશે. આંકડો નિર્મળ આનંદ પૂરો પાડશે. ટ્યૂશન શિક્ષકોની કરોડરજ્જુ છે, તો ઑપરેશન ડૉક્ટરોનો પારસમણિ. કાળજું જેટલું કઠણ બનાવી શકાય, પારસમણિનો સ્પર્શ તેટલો વધુ સોનામય બનાવી શકે. આ આખી પ્રક્રિયામાં અભિમન્યુનું શું થયું કે શું થાય તે વિચારવાની શી જરૂર? તેને કેટલા શારીરિક, માનસિક અને આર્થિક ધક્કા લાગ્યા તેની પાર વગરની ગણતરીનો શો અર્થ? નિષ્ણાત તબીબના પાંચમા કોઠામાંથી ઑપરેશનના છઠ્ઠા કોઠામાં પ્રવેશ્યા વિના તો છૂટકો ક્યાં? આ છઠ્ઠા કોઠો પણ દરદીનો દરદથી છૂટકો ન થાય તો મૃત્યુના આખરી કોઠે દરદ અને દર્દના પર્યાય જેવા માનવજીવનથી પણ દરદીનો છુટકારો થવાની ગેરંટી ખરી જ.

ચંદ્રિકા પંડ્યા
‘મારો દેશ’માંથી