મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭૧)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ (૭૧)

નરસિંહ મહેતા

એવા રે અમો એવા રે એવા, તમો કહો છો વળી તેવા રે;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.
એવા રે
જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે;
હવે થયું છે હરિરસ-માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
એવા રે
કરમ-ધરમની વાત જેટલી, તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની તોલે ના’વે રે.
એવા રે
સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે.
એવા રે
હળવાં કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફેરા ફોગટ ઠાલા રે.
એવા રે અમો એવા રે એવા...