માણસાઈના દીવા/૨. ‘મર્માળાં માનવી’ ક્યાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. ‘મર્માળાં માનવી’ ક્યાં

બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડાં પેટાળમાં ત્યાં ગાડા-મારગો ચાલે છે. દસ-વીસ વર્ષ પર આ મહીકાંઠે અકબંધ ગામડાં ઊભાં હશે, તેને મહી તરફ ધસતાં ચોમાસુ જળપ્રવાહોએ ચૂંથી નાખ્યાં છે ને આજે એ છૂટા પડેલા ગામ-ટુકડા અક્કેક ઊંચે ટેકરે એવી રીતે ઊભા છે કે એકબીજાને જાણે કદી આંખનીય ઓળખાણ નહોતી! ભાલાનો ટેકરો : એક હાલાનો ટેકરો : જુદા જુદા નિવાસીઓનાં નામના ટેકરા : વચ્ચે પાંચેક માથોડાં ઊંડાં ખોદાણો. એ પાંચ માથોડાં ઊંડું પૃથ્વી-દળ તદ્દન માટીનું જ બનેલું છે. ત્રણ હાથ ઊંડે ખોદીએ ને ‘ટેપ'નો કાળમીંઢ આવી ઊભો રહે એવી મારી સોરઠી ધરતીથી ઊલટા જ પ્રકારની આ નર્યા કાંપની જ બનેલી રસાળ કંઠાળ પૃથ્વી છે. એ પૃથ્વીનું આ સેંકડૉ એકરોનું ખોદાણ એટલે કેટલો વિનાશ! એકેક વીઘું જ્યાં આજે રૂ. પાંચ-પાંચ હજારના ભાવનું બોલાય છે, તે જ પ્રદેશમાં આવો ધરતી-વિનાશ! શું એ વિનાશ કોઈ ઈજનેરી ઉપચારે ન રોકી શકાયો હતો? મને કહેવામાં આવ્યું છે કે આવો ઉગાર તદ્દન શક્ય અને સરળ હતો : મહીમાં વહેવા જતાં વર્ષા-નીરને પૃથ્વીનું પેટ ખોદવું ન પડે તે રીતે મારગ કરી આપી શક્યા હોત.