સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/જીવવું એટલે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          જીવવું એટલે ગરમી ટકાવવી, એ મહાન ભૌતિક સત્ય છે. ખોરાક ખાઈએ છીએ, કપડાં પહેરીએ છીએ, ગુફાની અંદર કે મહેલમાં રહીએ છીએ, મહેનત કરીએ છીએ, એ બધી પ્રવૃત્તિ શારીરિક ઉષ્ણતા ટકાવવા ખાતર જ છે. તડકો ઓછો મળે તો તેલ-ઘી જેવી ચરબી ખાઈને માણસ પોતાની ઉષ્ણતા ટકાવે છે. કપડાંને અભાવે વૈરાગીઓ શરીરે ભસ્મ ચોળે છે. ભૌતિક ક્ષેત્રમાં હૂંફ વગર માણસનું ચાલતું નથી. પ્રેમના ક્ષેત્રમાં પણ હૂંફની એટલી જ જરૂર હોય છે. જુદાઈ એ ટાઢ છે. મરણની વાટ છે. એ ટાળવા માટે પ્રેમ દ્વારા માણસો એકબીજામાં ઓતપ્રોત થાય છે. ભૌતિક ક્ષેત્રમાં શારીરિક શ્રમથી ઉષ્ણતા ટકાવાય છે તેમ અહીં ત્યાગ, સેવા, આત્માર્પણ અને બલિદાનથી પ્રેમની હૂંફ વધારાય છે. આ પ્રેમની વિશ્વમૂર્તિ પ્રત્યક્ષ ભગવાન છે. એ પ્રેમસૂર્યને કવિએ મહાનલને નામે સંબોધ્યા છે. એ પ્રેમનો એક તણખો પણ જો મળી જાય, તો મનુષ્યજીવન કૃતાર્થ થઈ ગયું. પ્રાર્થના કરવી હોય તો ધન, દોલત, સામર્થ્ય, પ્રતિષ્ઠા કે રાજપાટ, એવી દુન્યવી સગવડો માટે શીદને કરીએ? એ એક ચિનગારી મળી, જીવનમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થયો, એટલે જીવન કૃતાર્થ થયું. [‘ભજનાંજલિ’ પુસ્તક: ૧૯૭૪]