સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોતિ દૈયા/વિધવાની ઇચ્છા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          મન્નારકાડ નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ યે સમાચાર આવ્યા કરે છે, એમ કરીને છાપાંનાં પાનાંને ઊથલાવી દીધાં. પણ પાછળથી મળેલી તેની નીચે મુજબની વિગતે હૃદયનાં પાનાંને ઊથલવા ન દીધાં : આગ લાગેલી એક મુસલમાનના ઘરમાં. પાડોશમાં રહેતા કૃષ્ણનને ખબર પડતાંની સાથે સફાળો ઊઠીને એ ત્યાં પહોંચી ગયો. જાતની, પત્ની ને બે બાળકોની કે વૃદ્ધ માતાની પરવા ન કરતાં તેણે આગમાં ઝંપલાવ્યું, અને ભડભડતી જ્વાળાઓમાં ઝડપાયેલાં પાડોશીનાં બે બાળકોને તો બહાર ધકેલી બચાવી લીધાં; પણ પછી પોતે બહાર નીકળવા જતાં સપડાયો, આગે તેને ભરખી લીધો. કૃષ્ણનનું કુટુંબ નિરાધાર બન્યું. એની સંભાળ સમાજે લેવી જોઈએ, એમ કહીને કાલીકટથી નીકળતા ‘માતૃભૂમિ’ દૈનિકે ફાળા માટે અપીલ કરી. જોતજોતામાં રકમ રૂ. ૨૪,૦૦૦ની લગોલગ પહોંચી ગઈ. હિંદુ તેમ જ મુસલમાન વાચકોનો તેમાં ફાળો હતો. એ રકમનો ઉપયોગ પ્રથમ શેમાં કરવો છે, એવું કૃષ્ણનની પત્નીને પૂછવામાં આવ્યું, ત્યારે એ વિધવા કરુણ સ્વરે એટલું બોલી કે, “તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો, પણ મારી એટલી એક ઇચ્છા છે કે એ રકમમાંથી પહેલાં તો મારા નિરાધાર બનેલા પાડોશીને રહેવા ઘર બંધાવી દેવું.”