સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અંબાલાલ પુરાણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અંબાલાલ પુરાણી

[સરળ અને નાજુક શૈલીમાં લખાયેલી આ ‘એક સાંજ‘ શ્રી.અંબાલાલ પુરાણીએ લખી છે. એનું સ્વરૂપ વાર્તા જેવું છે, પણ એને વાર્તા કહેવા કરતાં એક પ્રસંગ-ચિત્ર કહેવું કદાચ કોઈ વધુ બંધબેસતું લેખે. વાર્તા, પ્રસંગ-ચિત્ર, રેખાચિત્ર વગેરે શબ્દો સાહિત્ય-ચર્ચામાં વારંવાર વપરાય છે. આ બધાંની વચ્ચે બહુ ઝીણા ભેદ છે. આપણે ‘આ સુરતી છે, આ અમદાવાદી, ને આ કાઠિયાવાડી’ એવાં એવાં મનુષ્યોનાં વર્ગીકરણ કરીએ છીએ તે કેવા ઝીણા ભેદો ઉપર હોય છે! વાસ્તવમાં એ બધા છે તો મનુષ્ય જ ને? એ ભેદ આપણને બરોબર સમજાય છે, પણ કોઈ અજાણ્યો અમેરિકન આવે તો? તેને મન તો કદાચ અમદાવાદી, સુરતી બધા સરખા જ લાગશે, કારણ કે તેને આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણા રીતરિવાજો વગેરેનો જરા પણ પરિચય નથી હોતો, અને આ બધા ભેદો તો ઝીણી ઝીણી વિગતોના ફેરમાંથી આપણે જન્માવેલા છે. એવું જ જાતજાતનાં રેખાચિત્રો અને ટૂંકી વાતો વચ્ચેના ભેદનું છે. એ ભેદ લેખનના એ જુદા જુદા પ્રકારના ગાઢ પરિચયથી સ્પષ્ટ થાય છે. ‘એક સાંજ’માં એક નાનકડો પ્રસંગ ગૂંથાયો છે. પણ એની ગૂંથણીમાં લેખકે કલાત્મક રીતે અનેક ભાવો વિકસાવ્યા છે. એક નિર્દોષ બાલિકાની સરળતાનું આપણને ગમે એવું મધુર ચિત્ર તેમ જ કરુણા, સ્વાતંત્ર્ય, સાચી ઉદારતા વગેરેનાં ચિત્રો, આપણે વાંચતા જઈએ છીએ તેમ તેમ, આપણી દૃષ્ટિ સમક્ષ ચીતરાતાં જાય છે. લેખક પોતાની એક પાલિતપુત્રીને સ્વાતંત્ર્યનું રહસ્ય સમજાવે છે, પણ સાથે સાથે પોતાની પણ તે આકરી કસોટી કરી જે સ્વાતંત્ર્યનો તે બીજાંને બોધ કરે છે તે સ્વાતંત્ર્ય અન્યને આપવા પોતે તૈયાર છે કે કેમ એવો પ્રશ્ન પોતાની જાતને પૂછે છે. આમ એક નાનકડા પ્રસંગમાંથી ઊભી થયેલી ચર્ચા એક અતિ ગંભીર વિચારમાં પરિણમે છે. શ્રી. અંબાલાલ પુરાણીની શૈલીની આ એક લાક્ષણિકતા છે. આપણા સાહિત્યમાં એક ચિન્તક તરીકે તે જાણીતા છે, અને ચિન્તનની કણિકાઓ આ ‘સમી સાંજ’માં પણ આપણે જોઈ શકીએ છીએ.]