સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અશ્વિન માસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આશ્વિન માસ

પરમાનંદ કુંવરજી કાપડિયા

આપણું વર્ષ બાર માસમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક માસની ચોક્કસ વિશેષતા હોય છે. કોઈ મહિનામાં ધાર્મિક પર્વો વિશેષ હોય, તો કોઈ મહિનામાં આનંદનાં પર્વોની વિશેષ ગોઠવણ હોય. કોઈ મહિનામાં ગુજરાતી પર્વ શરૂ થતું હોય, તો કોઈ મહિનાથી શાલિવાહનના શકનો પ્રારંભ થતો હોય. કોઈ મહિનાથી ઠંડી, કોઈથી ગરમી કે કોઈથી વર્ષાનો પ્રારંભ થતો હોય. કોઈ મહિનો કોઈ ધર્મપ્રણેતાના જન્મદિવસથી વિશિષ્ટ બનતો હોય, તો કોઈ મહિનાની શોભા કોઈ રાષ્ટ્રનેતાની જયન્તીથી વધતી હોય. શ્રીમદ્ ભગવદ્ગીતામાં मासानां मार्गशीर्षोऽहम् । એમ કહીને માગશર મહિનાને વિશેષ વર્ણવ્યો છે, પણ ‘માસ’ અને ‘માર્ગશીર્ષ’ વચ્ચે અનુપ્રાસ વિશેષ હોવા ઉપરાંત, અને આજના સમયમાં સાધારણ રીતે માગશર અને નાતાલનો સુયોગ જળવાય છે એ સિવાય, માગશર મહિનાની બીજી કોઈ વિશેષતા ધ્યાન ઉપર આવતી નથી. ઋતુઓમાં વસન્ત મોટી એ ન્યાયે ફાગણ માસનો મહિમા વધે છે. પણ હોળી આસપાસના બે પાંચ દિવસો બાદ કરતાં, ફાગણ માસમાં બીજા કોઈ વિશિષ્ટ દિવસો આવતા નથી. આપણા દેશમાં ગ્રીષ્મ સૌથી વધારે કંટાળો આપે તેવી ઋતુ છે અને તેના મહિનાઓ પણ ખાસ કોઈ વિશેષતા વિનાના લાગે છે. આગળ ચાલતાં શ્રાવણ માસ આવે છે. તેના પ્રારંભથી તે અન્ત સુધી એટલાં બધાં ધાર્મિક પર્વો આવે છે કે એ દૃષ્ટિએ શ્રાવણ માસ અસામાન્ય બને છે. શ્રાવણ માસના પહેલા સોમવારથી અથવા તો નાગપંચમીથી ધાર્મિક પર્વોની શરૂઆત થાય છે. પૂર્ણિમા – બળેવ – ખાસ કરી બ્રાહ્મણોનું પર્વ છતાં બીજી રીતે સર્વસામાન્ય પર્વ બની ગયું છે અને સમુદ્રતટવાસીઓ તો તેને ખાસ મહત્ત્વ આપે છે. આવી જ રીતે ગોકુળઅષ્ટમી ખાસ કરીને વૈષ્ણવોનું – વિષ્ણુના ઉપાસકનું – પર્વ ગણાય, છતાં શ્રીકૃષ્ણ આખી હિંદુ જનતાના અધિદેવતા હોઈને ગોકુળઅષ્ટમી આખું હિંદુસ્થાન ઊજવતું આવ્યું છે. શ્રાવણના અન્તમાં જૈનોના પર્યુષણપર્વનો આરંભ થાય છે અને તપ અને ભક્તિનાં આન્દોલનો વડે ચોતરફનું વાતાવરણ પ્રોત્સાહિત બને છે. આવી જ રીતે આગળ ચાલતાં આશ્વિન માસ આવે છે. શ્રાવણ માસમાં ધાર્મિક પર્વો અને ધાર્મિક ઉત્સવોની બહુલતા છે; આશ્વિન માસમાં સામાજિક પર્વો અને સામાજિક ઉત્સવોની બહુલતા છે. શ્રાવણ માસ સાંપ્રદાયિક પર્વો અને ઉત્સવો દ્વારા ભૂતકાળની જડ વધારે મજબૂત કરે છે; આશ્વિન માસ વર્તમાન ઉપર આપણને ઉતારી દિવાળીનાં પર્વો દ્વારા આપણને ભવિષ્યકાળ તરફ દોરી જાય છે. શ્રાવણ ભક્તિ અને તપપ્રધાન છે; આશ્વિન આનંદ અને રસપ્રધાન છે. શ્રાવણની ધાર્મિકતા આજે ઓસરતી ચાલી છે; આશ્વિનની ઉત્સવમયતા ઊભરાતી જાય છે. આશ્વિન માસનો પ્રારંભ નવરાત્ર-ઉત્સવથી થાય છે. વર્ષાનું જોર ખલાસ થયું હોય છે, અને આકાશ સ્વચ્છ અને નિર્મળ બનેલું હોય છે. છૂટાંછવાયાં સફેદ વાદળાંઓ આકાશની નીલિમાને વધારે ભવ્ય અને મોહક બનાવે છે. નદીનાળાનાં ડહોળાં પાણી નિર્મળ બને છે, અને પશુ, પંખી તેમ જ પ્રવાસી જનોને કોઈ જુદા જ માધુર્ય અને શીતળતાનો અનુભવ કરાવે છે. પૃથ્વી પ્રસન્ન હોય છે, અને લોકોમાં સ્વાસ્થ્ય અને આગામી વર્ષને લગતી નવી આશાઓનો ઉદ્ગમ થઈ રહેલો હોય છે. પૃથ્વીપટ ઉપરના પ્રદેશો પ્રવાસયોગ્ય બને છે, અને સ્વચ્છ આકાશમાં ટમટમતા તારાઓથી સુશોભિત બનેલી અને ચંદ્રકળાની ઉત્તરોત્તર વૃદ્ધિ વડે પ્રકાશિત બનતી જતી રાત્રી જનતાને ઘરની બહાર નીકળવાની પ્રેરણા અને આમંત્રણ આપી રહી હોય છે. નવરાત્રિનું પર્વ આમ તો જગજનની મહાશક્તિની ઉપાસનાનું પર્વ ગણાય છે અને તે કારણે તેની આસપાસ ચોક્કસ પ્રકારની ધાર્મિકતા અને સાંપ્રદાયિકતાનું વાતાવરણ વીંટળાયેલું રહે છે. પણ આજે ખાસ કરીને મુંબઈ, ગુજરાત, કાઠિયાવાડમાં નવરાત્રિ મહોત્સવના અંગોપાંગોમાંથી આ ધાર્મિકતા કે સાંપ્રદાયિકતાનું તત્ત્વ સરતું જાય છે અને સામાજિક આનંદઉત્સવનું તત્ત્વ પુરાતું જાય છે. નવરાત્રિ સાથે એક બાજુ દેવીપૂજા જોડાયેલી છે, તો બીજી બાજુએ નારીવૃંદોના ગરબાઓ આ દિવસોમાં ગાજી ઊઠે છે. આ દિવસોમાં સ્ત્રીસમાજનો ઉલ્લાસ અને આનંદ કોઈ અજબ પ્રકારનો દેખાય છે. કોઈ પણ મોટા શહેરના રાજમાર્ગ ઉપર સ્ત્રીઓનાં ટોળેટોળાં એક સ્થળથી બીજા સ્થળે વિચરતાં અને લહાણીની ચીજો લેતાં, દેતાં કે દેખાડતાં નજરે પડે છે. મુંબઈ, અમદાવાદ કે સુરતમાં આ પર્વ દરમિયાન માત્ર સ્ત્રીઓ જ મહાલે છે એમ નથી. પુરુષો પણ એ આનંદ અને ઉલ્લાસમાં ભાગ પડાવતા દેખાય છે. કેટલાંક સ્થળોએ નવ દિવસનો ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને તેમાં સ્ત્રીપુરુષો, કુમાર કુમારિકાઓ — સૌ કોઈ ખૂબ રસથી ભાગ લેતાં હોય છે. મનુષ્ય-સ્વભાવ જ ઉત્સવપ્રિય છે અને એ ઉત્સવની મસ્તીમાં નાના મોટાના – સ્ત્રી પુરુષના ભેદો ભૂલી જવાય છે. નવરાત્રના અંતે વિજયાદશમી કાંઈ ઓછા મહત્ત્વનું પર્વ નથી. આસો માસ દરમિયાન નિશાળો તેમ જ કોલેજનું પ્રથમ સત્ર પૂરું થાય છે અને બીજું સત્ર શરૂ થતાં પહેલાંની પખવાડિયા વીસ દિવસની રજા પડેલી હોય છે. વિદ્યાર્થીઓનાં, શિક્ષણસંસ્થાઓનાં – વિવિધ પ્રકારનાં રસસંમેલનો - કૉન્સર્ટો - પણ આ જ મહિનામાં રજૂ થાય છે. લોકજીવનમાં સંગીત અને નૃત્યની — ગીત અને ગાનની – કોઈ જુદી જ હેલી આવે છે. બાળકો ગાય છે અને મોટાંઓ ડોલે છે; બહેનો ગરબાઓ ગાય છે અને ઝીલે છે, અને પુરુષો એકાગ્ર બનીને સાંભળે છે અને આવકારે છે. આપણે ત્યાં વસંતોત્સવ હજુ માત્ર વાણી અને કલ્પનામાં જ રહેલો છે, પણ શરદુત્સવ તો આપણા જીવનની વસ્તુ બની ગઈ છે. શરપૂર્ણિમાએ કોઈ જુદા જ રસનાં પૂર ઊભરાય છે. જ્યાં જુઓ ત્યાં લોકો – સ્ત્રીઓ અને પુરુષો – મિત્રો અને બહેનપણીઓ – નગર બહાર નીકળી પડે છે અને કોઈ સમુદ્રકિનારે તો કોઈ નદીને કાંઠે, કોઈ વન ઉપવનમાં તો કોઈ પાસે આવેલી ટેકરી ઉપર, એમ સૌ કોઈ ચાંદની મહાલવા નીકળી પડે છે. ભૂતકાળની તો બહુ ખબર નથી, પણ વચગાળે ચંદ્રિકાની મહત્તા આપણે વીસરી ગયા હતા. બહાર જ્યારે પૂર્ણચંદ્ર ધવલ અને શીતળ પ્રકાશ વરસાવી રહ્યો હોય, પૃથ્વીના વિશાળ પટને રૂપેરી રંગે રંગી રહ્યો હોય, ભૂમિતળના સમવિષમ ભાગોની અસમતા ટાળીને સમસ્ત પ્રદેશને કોઈ જુદી જ મનોહરતા અર્પી રહ્યો હોય, ત્યારે આપણા લોકો બહાર નજર કરવાની પણ પરવા ન કરતા અને રાત્રીના નવ કે દશ વાગે કે નિદ્રાનું શરણ સ્વીકારી લેતા. આજે ચંદ્રજ્યોતનું સૌંદર્ય અને મહત્ત્વ લોકમાનસ વધારે ને વધારે સમજતું અને ઝીલતું થયું છે. પૂર્ણિમા અને અમાવાસ્યાનો ભેદ લોકો વધારે સમજવા લાગ્યા છે. લોકો આજે પ્રકાશોન્મુખ બન્યા છે અને તેજકિરણોને ઝીલતાં શીખ્યા છે. આ રીતે શરપૂર્ણિમા આજે તો જનતાના એક અપૂર્વ ઉત્સવનું નિમિત્ત બની રહેલ છે. તે પાછળ આવે છે દિવાળી. દિવાળી તો ગરીબ અને પૈસાદાર – ભણેલા અને અભણ – આખી આમ જનતાનું એક મહાન ઉત્સવપર્વ છે. દિવાળીમાં ઘેર ઘેર મિષ્ટાન્નો થાય છે અને જાત જાતનાં સુંદરવસ્ત્રો અને આભૂષણો ખરીદાય છે. ફટાકડા ફોડીને બાળકો મલકાય છે; દીપમાળો પ્રગટાવીને મોટેરાંઓ આનંદ માને છે. વિદાય થતું વર્ષ ગયું અને આખા વર્ષનાં સુખદુ:ખ, નફોતોટો, આધિ, વ્યાધિ અને ઉપાધિ સૌ કોઈ તેમાં સમાઈ ગયાં. આજે એ સર્વ ઉપર પડદો પડે છે. લોકો એ સર્વ ભૂલી જાય છે. થયું તે થયું; ગયું તે ગયું. હવે તેને શું સંભારવું અને શું રડવું? નવી આશાઓ પ્રગટે છે, અને નવી કલ્પનાઓ જાગે છે. લોકો આવતા વર્ષને આવકારે છે અને ઊગમતા પ્રભાતને આદર આપે છે. જૂનાં ખાતાં ખલાસ થાય છે; નવાં ખાતાં શરૂ થાય છે. સૌ કોઈ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને શેરીએ અને ચૌટે નીકળે છે અને એકમેકને પ્રેમ અને આદરપૂર્વક સન્માને છે. રડતા બાળકને કહેવામાં આવે છે કે આજે દિવાળી છે, રડાય નહિ; કટુભાષી પણ આજે મિષ્ટભાષી બને છે અને કુરૂપ માણસ પણ આજે સુરૂપ દેખાય છે. બાર બાર મહિનાના કચરા આજે સાફ કરવામાં આવે છે અને સૌ કોઈ આજે પોતાનું આંગણું અજવાળે છે. મંદિરોમાં ઘંટા વાગે છે અને ચોતરફ દીપશિખાઓ પ્રગટે છે. આનંદો! આનંદો! આજે સૌ કોઈ એકમેકનું શ્રેય અને ઐશ્વર્ય ઇચ્છો અને સર્વત્ર નિરામયતાની પ્રાર્થના કરો! આમ નૂતન વર્ષને આંગણે ઊભા રાખતા, ‘સાલ મુબારક‘ને નોતરતા આશ્વિન માસનો ઉત્સવમહિમા તો જેટલો ગાઈએ તેટલો ઓછો છે. આશ્વિન માસ ખરેખર અપૂર્વ અને અસામાન્ય છે.

‘પ્રબુઢ્ઢ જૈન‘માંથી

સ્વાધ્યાય

૧. લેખક જુદા જુદા કયા કયા માસનું માહાત્મ્ય વર્ણવે છે? તેમના મત સાથે તમે કેટલે અંશે સમ્મત છો તે જણાવો.
૨. ‘શ્રાવણની ધાર્મિકતા આજે ઓસરતી ચાલી છે. આશ્વિનની ઉત્સવમયતા ઊભરાતી જાય છે.’ આ વાક્યની ચર્ચા કરો.
૩. આશ્વિન માસની મહત્તા શામાં રહેલી છે તે વિગતે બતાવો.
૪. દિવાળી, હોળી, મહાવીર જયન્તી, રેંટિયા બારશ, જન્માષ્ટમી આદિ વિષયોમાંથી પસંદ કરી તમને ગમતા વિષયો ઉપર નિબંધ લખો.