સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નર્મદાશંકર (૨)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નર્મદાશંકર

[આ દેશમાં અંગ્રેજી રાજ સ્થપાતાં, પશ્ચિમના દેશો કરતાં અહીંની ઊતરતી હાલત સમજુ લોકોના ખ્યાલમાં આવી. દેશમાંથી વહેમ, ઢોંગ-ધતિંગ, ખોટા રીતરિવાજ, વગેરેને દૂર કરવા ઠેર ઠેર ઉત્સાહી લોકોએ રણ મચાવ્યું. આ ‘સુધારા’ના રણમાંથી ધીમે ધીમે કેટલાક લોકો પાછા હઠવા લાગ્યા અને પૈસા કમાવામાં ધ્યાન પરોવવા મંડ્યા. કવિ નર્મદ એમને પડકાર કરે છે અને યુગધર્મ બજાવવા કટિબદ્ધ થવા પ્રેરે છે. આ લેખ પર નર્મદે પોતે ટીપ મૂકી છે તે ઉપરથી સમજાશે કે કેટલાં વર્ષો પહેલાં એણે દેશમાં સુધારો આણવા માટે બળાપા કાઢ્યા હતા અને પોતે તો થાય તેટલી મહેનત પણ કરી છૂટ્યો હતો. ‘એ નિબંધ તા. ૧૫મી ડિસેમ્બર ૧૮૬૪ને શુક્રવારે બુદ્ધિવર્ધક સભામાં વાંચ્યો હતો. સુધારાવાળાઓ પણ બીજા અજ્ઞાનીઓની પેઠે પોતાનો ખરો ઉદ્યોગ છોડી શૅર-રૂના ધંધામાં પડેલા અને જેઓએ સુધારા સંબંધી કામો તદ્દન છોડી દીધેલાં, તેઓને શિક્ષારૂપ બે વચન કહેવાં એ હેતુ નિબંધ લખવાનો હતો.’ નર્મદે ગાયું છે, ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’ એણે બે કડખા પણ આપ્યા છે:

કંથા રણમેં પેઠ કે કાંઈ જુએ સાથ;
સાથી થારા તીન હૈ: હિય, કટારી, હાથ.

હૈયું-હિંમત, કટારી ને તારો હાથ (તલવાર મારવાની છટા), એ ત્રણ તારા સાથી છે.

ભાગે મત તું કંથડા, તો ભાગા મો ખોડ;
મોરી સંગકી સાહેલિયા તાલી દે મુખ મોડ.

એટલે કે તું ભાગશે તો મારી બેનપણીઓમાં હું લાજી મરીશ.

નર્મદના આખા લેખમાં એક વીર પુરુષને છાજે એવાં સાચાં ઉત્સાહ અને જોમ છે. ‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’ એમ યાહોમ કરવાની હાકલ કરનાર કે ‘શંખનાદ સંભળાયે ભૈયા શૂર પુરુષને તેડું હો!’ એમ લડવા તેડનાર વીરકવિ નર્મદ વગર વિચાર્યે રણમાં ઝંપલાવનાર નથી. એની અનુભવી વિચારશક્તિનો આ લેખમાં પરિચય થશે. ‘પૈસાથી બહારનો સુધારો છે, અંદરનો સુધારો વિદ્યાથી છે,’ ‘કહું છ કે પાંચ જ વીર નીકળેને...,’ વગેરે એના વિચારો કેટલા સાચા છે! ખાસ તો આ નિબંધમાંથી લક્ષમાં લેવા લાયક વસ્તુ તે વિચારની સચ્ચાઈ છે. પાછા હઠેલાઓને નર્મદ અનેક રીતે સમજાવી કલાવીને ફરી આગળ આવવા પ્રેરે છે તે કેટલા સાચા હૃદયથી, અને તે પોતાને માટે નહિ પણ અમુક વિચારોને માટે.
પંચોપાખ્યાનમાં બ્રાહ્મણને ખભે બકરું હતું તે કૂતરું છે એમ ત્રણ ઠગોએ પેલાના મન પર ઠસાવવાથી, કૂતરું માની તેને નાખી દઈ બ્રાહ્મણ ચાલ્યો ગયો એટલે બકરું તેઓ ઉપાડી ગયાની વાત છે. સુધારાવાળાઓના ‘સુધારા’નું પણ વહેમજવનના સૈન્યના માણસોએ એવું કરેલું, એમ કહેવાનો આશય લાગે છે. વહેમજવન — વહેમરૂપી હુમલાખોર. જવન–યવન શબ્દ મૂળ ગ્રીક (આયોનિયન) લોકો માટે વપરાતો શરૂ થયેલો, તે પછીથી જે જે પરદેશી આવ્યા તેમને માટે વપરાયો છે... પછે નચિંતે૰ — સરખાવો ‘ઘડપણમાં ગોવિંદ ગાશું રે.’ જનાની — જનાનાને લાયક, કાયર. વાચાળપણું— બહુ બોલવું તે – એ અર્થમાં નહિ, પણ બોલતાં જીભ અટકવી ન જોઈએ એ અર્થ સમજવો. જેના યોગરૂપી હોકાયંત્ર — જેના સંબંધમાં આવવાથી પશ્ચિમની દુનિયાની ખબર પડતાં દિશા સૂઝવા લાગી છે.]