સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નટરાજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. નટરાજ

બચુભાઈ રાવત

Sahitya Pallav - 3 Image 1.jpg

આપણા દેશની પ્રાચીન ચિત્રકળા, શિલ્પ અને સ્થાપત્યની માફક ધાતુની મૂર્તિઓ ઢાળવાની કળા પણ આપણે ત્યાં અત્યંત ઉચ્ચ કોટિએ પહોંચી હતી, અને તેના જે સુંદર નમૂના મળી આવે છે તેમાં દક્ષિણ હિંદની નટરાજની આ કાંસાની મૂર્તિ ઉત્કૃષ્ટ ગણાય છે. બે દૃષ્ટિએ : મૂર્તિકલાનો તો એ ઉત્તમ નમૂનો છે જ; તે સાથે તેનો વિષય અને સંદેશ પણ એટલો જ હૃદયસ્પર્શી છે — જીવનસ્પર્શી છે. નટરાજ એટલે શિવની આ ચાર ફૂટ ઊંચી અને કાંસા જેવી મિશ્ર પંચધાતુની બનાવેલી સુંદર મૂર્તિ મદ્રાસ મ્યુઝિયમના કલાસંગ્રહમાં છે. પણ આ મૂર્તિમાં ઉતારેલા શિવના તાંડવ નૃત્યનો પ્રસંગ અને એનો જીવનસંદેશ એટલો લોકવ્યાપી હતો કે દક્ષિણ હિંદમાં એવી અનેક મૂર્તિઓ પ્રાચીન કાળમાં બનેલી મળી આવી છે. એ તાંડવ નૃત્ય વિષે કથા એવી છે કે, ઋષિઓ અને બ્રાહ્મણો જ્યારે ધર્મનું સાચું સ્વરૂપ ભૂલી જઈને યજ્ઞયાગના આડંબરોમાં અને ખંડનમંડનના વિદ્યાવિલાસમાં જ ડૂબી ગયા ત્યારે રુદ્ર-શિવથી ધર્મનો એ ઉપહાસ સહન ન થયો. એટલે એક વાર એક સ્થળે દસ હજાર ઋષિઓ એકઠા મળી યજ્ઞયાગ અને વાદવિવાદ કરતા હતા ત્યાં અઘોરી બાવાનો વેશ ધારણ કરી શિવ ગયા અને એમનો યજ્ઞ અભડાવ્યો. ઋષિઓએ આથી ક્રોધે ભરાઈ શિવનો નાશ કરવા મંત્રબળ વડે એક વિકરાળ વાઘ ઉત્પન્ન કર્યો. પણ શિવે તો મંદ મંદ હસતાં પોતાની ટચલી આંગળીના નખ વડે તેનું ચામડું ઉતરડી નાખ્યું અને તેને ઉત્તરીયની પેઠે ઓઢી લીધું. આ નિષ્ફળતાથી ચિડાઈને ઋષિઓએ એક ભયંકર સર્પ ઉત્પન્ન કર્યો; પણ તેને તો શિવે બહુ જ આસાનીથી પકડીને શણગારની માફક ગળામાં પહેરી લીધો. હવે ખૂબ રોષે ભરાઈ ઋષિઓએ ત્રિપુર નામનો એક ઠીંગણો, કદરૂપો ને ભીષણ રાક્ષસ ઉત્પન્ન કર્યો. શિવે તેને પગ તળે ચાંપી તેના બરડાની કરોડ ભાંગી નાખી અને તેનો નાશ કર્યો. અને પછી, પુણ્યપ્રકોપથી પ્રજ્વળી ઊઠી, એ અસુરના મૃત દેહ ઉપર પોતાનું અલૌકિક તાંડવ નૃત્ય આરંભ્યું. એક હાથમાંના ડમરુમાંથી ભીષણ નાદ ગાજી રહ્યો, બીજા હાથમાંથી અગ્નિજ્વાળાઓ લપકવા લાગી, અને પ્રચંડ વેગ તથા અદ્ભુત તાલથી શરીર તાંડવ નૃત્યે ચગ્યું. એ નૃત્યના તાલે સમસ્ત કુદરતના, સૂર્યમંડળોના અને તારાઓના તાલ સાથે મેળ લીધો; બ્રહ્માંડ આખું જાણે એક નૃત્યે ડોલી રહ્યું. ઋષિઓ અને દેવો દિઙ્મૂઢ બની આ નૃત્ય જોઈ રહ્યા. આ કથાનું રહસ્ય એ છે કે, સૃષ્ટિમાં જ્યારે અનિષ્ટ પેસે છે. ત્યારે સૃષ્ટિની રંગભૂમિનો નિયંતા નટરાજ એ અનિષ્ટના નાશ માટે પ્રલયનું તાંડવ ખેલે છે. માણસની વાસનાઓરૂપી વાઘનું ચામડું ઉતરડી તે પિછાડી તરીકે ઓઢી લે છે; મત્સર - અસૂયા રૂપી સર્પને નરમ કરી નાંખી કંઠમાં માળા તરીકે ધારણ કરે છે; આસુરી વૃત્તિ રૂપી ત્રિપુરને પગ તળે સદા કચરી રાખે છે; અને પછી પ્રભુનું લીલામય નૃત્ય અખંડ ચાલે છે. એ નૃત્યનું સ્વરૂપ રુદ્ર છે, છતાં તેનો હેતુ શિવ-મંગલમય છે. આ રહસ્ય સાથે હવે એ મૂર્તિ તરફ જુઓ. એ સંહારક નૃત્ય કરનાર શિવનું સાચું કલ્યાણસ્વરૂપ મૂર્તિકારે કેટલા કૌશલથી અહીં ઉતાર્યું છે! એમાં વેગ છે તે સાથે જ સ્વસ્થ છટા પણ છે; અંગાંગમાં ઉદ્રેક છે; છતાં ચહેરા પર પ્રસન્ન શાંતિ છે. ઘડતરની દૃષ્ટિએ તો એ નયન મનોહર છે જ. નૃત્યની છટામાં પ્રસરેલા હાથ-પગની રચના કેવી સમતલ છે. અંગની ભંગી કેવી લાવણ્યભરી છે! સંયોજન એવું ખૂબીભર્યું છે કે મૂર્તિ સ્થિર હોવા છતાં લાગે છે કે જાણે એ નૃત્ય ચાલ્યા જ કરે છે. અને ચેતનના વારસદારોને આ મૂર્તિનો એક બીજો પ્રકટ બોધ એ પણ છે કે, પ્રવૃત્તિના વેગમાં ઘૂમતા રહો છતાં અંતરની સ્વસ્થતા અને શાંતિ અખંડ રાખો.