આચમની/૪૪
મારા સન્માન્ય મિત્ર મુગટલાલજીએ નર્મદા કિનારે શ્રીગણેશ અનુષ્ઠાન પૂરું કર્યું હતું. અનુષ્ઠાન પૂરું કરી તે બહાર આવ્યા એ જ વખતે કોઈ મહંતનો હાથી રસ્તા પરથી પસાર થયો. મહારાજ ઊભા હતા એ સ્થળ પાસે હાથી અટકી ગયો. મહાવતે તેને આગળ લઈ જવાન ઘણા પ્રયત્નો કર્યા. પણ હાથી થોડે દૂર જઈ પાછાં વળી મહારાજશ્રી ઊભા હતા ત્યાં જ આવી જતો હતો. મહારાજશ્રીએ મહાવતને કહ્યું: ‘હાથી એમ નહીં જાય. જરા ખમી જા.’ આટલું કહી તે અંદરથી ફૂલની માળા લઈ આવ્યા. હાથીને પહેરાવતાં તેણે સૂંઢથી ઊંચકી લીધી. અને પછી તે આગળ ચાલતો થયો. આ પ્રસંગ શું બતાવે છે? એ માત્ર અકસ્માત, જોગાનુજોગ બતાવે છે કે પછી ગજાનન ગણેશની એકનિષ્ઠ ઉપાસના સાથે આ એક પ્રાણી-હાથીનો કોઈ સૂક્ષ્મ સંબંધ બતાવે છે? આપણા દેવતાનાં સ્વરૂપ, તેમનાં આભૂષણો અને વાહનો મનુષ્ય-મનની કલ્પના મુજબ ઉપજાવી કાઢેલાં છે કે તેનો વિશ્વચેતના સાથે કોઈ સંબંધ છે? આ વસ્તુ ઊંડો અભ્યાસ માગે છે. આજનો વિજ્ઞાની સત્યનિષ્ઠ રહી સૂક્ષ્મ યાંત્રિક સાધનો દ્વારા જે જ્ઞાન મેળવવા મથે છે એ જ્ઞાન ઋષિગણોએ પોતાની આંતરદૃષ્ટિ દ્વારા મેળવ્યું હશે? હાથીની જ વાત કરીએ. એ બળવાન અને બુદ્ધિશાળી પ્રાણી છે. તેની સ્મરણશક્તિ અસાધારણ છે. વફાદારી અનન્ય છે. શ્રવણશક્તિ તીવ્ર છે. તે મનુષ્યના કર્ણગોચર અવાજથી નીચેના અવાજો સાંભળી શકે છે. એક જૂથ બીજા જૂથથી દૂર હોવા છતાં સંદેશા મોકલાવે છે, હાથીમાં રહેલી શક્તિઓની આ શોધ હમણાં જ થઈ છે. ‘એલિફન્ટ ટોક’ નામે આ સંશોધનનો લેખ ‘નેશનલ જ્યોગ્રાફિક’માં (ઓગસ્ટ ૧૯૮૯, પાનું ૨૬૪) આવ્યો છે. તે વાંચી જવા જેવો છે. આપણું લાગણતંત્ર બૂઠું થઈ ગયું છે, એ સાથે આપણી સાધના પણ જડ અને મલિન બની ગઈ છે. દૂરનો સૂક્ષ્મ અવાજ સાંભળવો તો શક્ય જ નથી, પણ નજીકના અવાજને પણ ધાંધલ ધમાલમાં દબાવી દઈએ છીએ. હાથી દૂરશ્રવણ કેવી રીતે કરે છે તેનું નિરીક્ષણ કરતાં સંશોધકો લખે છે કે આવો અવાજ ઝીલતાં હાથીનું શરીર જાણે થીજી જાય છે. તે સર્વાંગ સ્તબ્ધ બની કાન માંડે છે. પછી સૂક્ષ્મ અવાજની દિશામાં દોટ મૂકે છે. વળી થોડીવાર થોભે છે અને અવાજની દિશા પકડી દોડે છે. એકાદ માઈલનું અંતર તો તે વચ્ચે આવતી જંગલ-ઝાડીને ઉખેડી ફેંકી જોતજોતામાં પાર કરી જાય છે. હાથી જેવા પ્રાણીમાં જે પ્રકૃતિદત્ત શક્તિઓ છે તે સાધના દ્વારા જ્ઞાનપૂર્વક માનવ પાછી મેળવે એવો ઋષિ-દ્રષ્ટાઓનો ઉદ્દેશ લાગે છે. દૂરશ્રવણ કરતાં હાથીના કપાળ પર કરચલી પડે છે. સૂંઢ દ્વારા હવા પસાર થતાં આ કંપન થાય છે. હાથીની સૂંઢને સુષુમ્ણા સાથે સરખાવવામાં આવે છે. આવું સામ્ય સંશોધન અને ઉપાસના બંન્ને દ્વારા થાય તો સાચી ગણેશ-ઉપાસના કેવી હોય તેનું ભાન થાય. ધર્મને નામે, ઉપાસનાને નામે, ઉત્સવોને નામે જે ઘોંઘાટ અને વરવાં પ્રદર્શનો થાય છે તેમાંથી મુક્ત થવાનો આ માર્ગ છે. મહારાજશ્રીના જેવી સાત્ત્વિક અને પ્રશાંત ઉપાસનાની પ્રતિષ્ઠા કરીશું તો પ્રકૃતિસ્વરૂપ અને પ્રકૃતિથી પર એવા ગજાનન પ્રસન્ન થઈ પૂજનમાળા ગ્રહણ કરશે.
***