આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/Q

સંજ્ઞાકોશ
Q

Quantitative Verse પરિમાણાત્મક પદ્ય

આ પ્રકારના પદ્યનો આધાર પ્રશિષ્ટ છંદોરચનાશાસ્ત્રમાં અક્ષરના ઉચ્ચારણ માટે આવશ્યક સમયના પરિમાણ પર હતો. આવા પદ્યમાં ભાર નહીં, પણ સમયાવધિ મહત્ત્વનો હતો.

Quatrain ચતુષ્પદી શ્લોક

ચાર પંક્તિઓનું કાવ્ય કે કાવ્યની એક કડી. અંગ્રેજી કવિતાના પ્રકારોમાં આ મહત્ત્વનો એકમ છે. જેમ કે, શેક્સપિયરશાઈ સૉનેટના બંધારણમાં છેલ્લા યુગ્મ ઉપરાંત ચાર પંક્તિનો એક એવા ત્રણ એકમો હોય છે.

Quotability અવતરણક્ષમતા

સાહિત્યિક કૃતિઓમાંથી મળતા સાર્વત્રિક વિનિયોગની શક્યતાઓવાળાં વિધાનો અવતરણો તરીકે ઓળખાય છે. આ પ્રકારનાં વિધાનો વિપુલ પ્રમાણમાં આપતા સર્જકની કૃતિઓના સંદર્ભમાં આ સંજ્ઞા પ્રયોજાય છે. જીવનના વ્યાપક સંદર્ભોને સ્પર્શતા વિષયવસ્તુવાળી કૃતિઓમાં આ લક્ષણ વિશેષ પ્રમાણમાં જેવા મળે છે. જેમકે, રવીન્દ્રનાથ, શરદબાબુ, ર. વ. દેસાઈ વગેરેની કૃતિઓમાં આવતાં અવતરણો.