કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૮. મૃત્યુ


૧૮. મૃત્યુ

બરફ ઓગળી ગયો હશે.
સવારનો સૂરજ
બારણે ટકોરા દેશે.
હું
ઊઠીને બારણું ખોલીશ.
આંગણામાં ચોમેર છવાઈ ગયેલાં
તારાં પગલાં જેવાં
ડૅફોડિલ્સને
આનંદવિભોર બની
ઘરમાં લાવવા જઈશ
ત્યાં
એકાએક
સૂર્યકિરણોના ધક્કાથી
બારણું વસાઈ જશે
અને
હું
ઘરમાં પ્રવેશી નહીં શકું…


(વિદેશિની, પૃ. ૨૭૨)