કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કોઈ નથી!


૪૧. કોઈ નથી!


ક્યારેક મને એમ લાગે છે કે મારી નજરમાં કોઈ નથી,
ખાલી પડછાયા ને પડઘા વિણ દુનિયાભરમાં કોઈ નથી.

આ યુગ યુગથી કંઈ કોટિ જીવો તમને જીવ સાટે ચાહે છે;
સમ ખાઈને એટલું તો કહી દો, શું તમ અંતરમાં કોઈ નથી?

તમ દર્શનના અભિલાષીઓ જઈ દ્વાર દિશાના ખખડાવે;
કાં કોઈ જવાબ ભલા ન દિયે? છે કોઈ કે ઘરમાં કોઈ નથી?

મનમોજી મુસાફર મતવાલા ભવસાગરમાં સાથે સરતા,
ને તોય મને કાં લાગી રહ્યું કે, સાથ સફરમાં કોઈ નથી?

જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે,
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?

લાવ્યા છો તમે સુંદર ચાદર, દઈ દેશો નામ કફન કેરું!
વાળી દેશો એ પર માટી! શું એ ચાદરમાં કોઈ નથી?

ગાફિલ, જો નથી કોઈ તો કહો, આ ખેલ છે શાનો દુનિયામાં?
આ પરદા પર તો પાર નથી, પરદા ભીતરમાં કોઈ નથી?

(બંદગી, પૃ. ૪૧)