કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તરાનાએ માર્યો


૪૬. તરાનાએ માર્યો


દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,
જમાનાને કાયમ દીવાનાએ માર્યો.

રહ્યો વસવસો તો રહ્યો એટલો બસ,
મન કોઈ ને કોઈ બાનાએ માર્યો.

ભલા કાંકરો કાં તમે મારો કાઢો?
કે એ કાંકરો છે જે કાનાએ માર્યો.

હતો એક મોઘમ ઈશારો પરંતુ,
છતો થાય ત્યાં એ જ છાનાએ માર્યો.

કહો, કેટલી હું શકું ઝીંક ઝીલી?
મિટાવ્યો દગાબાજે, દાનાએ માર્યો.

થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ;
તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.

(બંદગી, પૃ. ૩૫)