ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશક્તિ


સંશક્તિ(Energy) : કૃતિ અંગેની સંશક્તિનો ખ્યાલ રશિયન ભાષા-સાહિત્યવિદ યુરિ લોત્મનનો છે. કલાકૃતિની સંરચનામાં એકસાથે બે વિરોધી તંત્રો ક્રિયાશીલ હોય છે. એક તંત્ર કૃતિનાં બધાં તત્ત્વોને, વ્યવસ્થાને વશવર્તી બનાવવા તાકે છે, એમને સ્વયંચાલિત વ્યાકરણમાં રૂપાન્તરિત કરવા મથે છે. જેના વગર સંપ્રેષણ કાર્ય અશક્ય છે. જ્યારે બીજુ તંત્ર સ્વયંચાલનને નષ્ટ કરવા અને સંરચનાને પોતાને જ સંસૂચન(information)ના સંવાહક બનાવવા તાકે છે. લોત્મનનો આ બહુવ્યવસ્થાનો કે વ્યવસ્થા સમાઘાત(clash of systems)નો સંપ્રત્યય અને એમાંથી જન્મતી કૃતિની સંશક્તિ અંગેનો ખ્યાલ વિશિષ્ટ છે. ચં.ટો.