ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નિબંધ

૬. નિબંધ
૧. શીર્ષક : નિબંધકાર દિગીશ મહેતા
સંશોધક : રમેશ મકવાણા
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. નવલકથાકાર દિગીશ મહેતાના નિબંધોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નિબંધનું સ્વરૂપ તથા તેનાં લક્ષણોનો પરિચય આપી ગુજરાતી નિબંધની વિકાસરેખા રજૂ કરી છે. ત્યાર બાદ દિગીશ મહેતાનાં જીવન તથા સર્જન વિશે માહિતી આપી છે. દિગીશ મહેતાના નિબંધોનો પરિચય આપી તેમાં રહેલાં કલાતત્ત્વ તથા સૌંદર્યતત્ત્વનો પરિચય કરાવ્યો છે. નિબંધકાર દિગીશ મહેતાની સિદ્ધિ- મર્યાદાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : ગાંધીયુગનું નારીલિખિત પ્રવાસસાહિત્ય
સંશોધક : ભરતકુમાર કે. પરમાર
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૮

ટૂંકસાર :

આ શોધનિબંધ કુલ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. પહેલાં પ્રકરણમાં ‘નિબંધ’ સંજ્ઞા, સ્વરૂપ, લક્ષણો તથા નિબંધના પ્રકારોની વિચારણા થઈ છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી પ્રવાસનિબંધ ક્ષેત્રે લેખિકાઓનાં પ્રદાનની સંક્ષિપ્ત રૂપરેખા અપાઈ છે. ત્રીજાં પ્રકરણમાં ગાંધીયુગના ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધીનાં નારીલિખિત પ્રવાસનિબંધો વિશે અભ્યાસ રજૂ થયો છે. ચોથાં પ્રકરણમાં ગાંધીયુગના ઈ.સ.૧૯૩૧ થી ૧૯૪૦ સુધીના સમયગાળાના નારીલિખિત પ્રવાસનિબંધો વિશે અભ્યાસ રજૂ થયો છે. પાંચમા પ્રકરણમાં તારણો અને ઉપસંહાર અપાયાં છે. અંતે સંદર્ભસૂચિ અપાઈ છે.

૩. શીર્ષક : સ્વાતંત્રોત્તરયુગનું નારીલિખિત પ્રવાસસાહિત્ય (ઈ.સ. ૧૯૪૮ થી ઈ.સ. ૧૯૮૪ સુધી)
સંશોધક : દેવજી જી. સોલંકી
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. આ શોધકાર્ય ઈ.સ. ૧૯૪૮ થી ઈ.સ. ૧૯૮૪ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને કરેલ છે. પ્રથમ પ્રકરણમાં ‘નિબંધ’ શબ્દનો અર્થ, તેનો ઉદ્ભવ, સ્વરૂપ તેમ જ તેમાં કેવા ઉતાર-ચઢાવ આવ્યાં તેની ચર્ચા કરી છે. બીજાં પ્રકરણમાં નિબંધના વિવિધ પ્રકારો તેમ જ ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધો લખવાની શરૂઆત ક્યારથી થઈ અને તેમાં કેવા વળાંકો આવ્યા તેની વિચારણા થઈ છે. ત્રીજાં પ્રકરણમાં સ્વાતંત્રોત્તરયુગમાં પ્રકાશિત થયેલા નારીલિખિત પ્રવાસનિબંધોનું ઐતિહાસિક-ભૌગોલિક, સામાજિક-સાંસ્કૃતિક વિગતો, વર્ણનો, વ્યક્તિચિત્રો, ભાષાશૈલીની દૃષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. ચોથાં પ્રકરણમાં દરેક પ્રવાસ પુસ્તકની વિશેષતા અને મર્યાદા દર્શાવી છે તેમ જ તારણો અને ઉપસંહાર રજૂ કર્યા છે. અંતે પરિશિષ્ટ-૧માં પ્રવાસનિબંધ સૂચિ અને પરિશિષ્ટ-૨માં સંદર્ભગ્રંથ સૂચિ આપવામાં આવી છે.

૪. શીર્ષક : યુરોપ વિષયક ગુજરાતી પ્રવાસનિબંધ (ત્રણ નિબંધસંગ્રહના વિશેષ સંદર્ભમાં)
સંશોધક : મનીષ બી. ચૌધરી
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રકરણમાં નિબંધ સંજ્ઞા, સ્વરૂપ અને પ્રકારોની વિચારણા આપીને વિવિધ વિદ્વાનોનાં નિબંધના સ્વરૂપ વિશેના અભિપ્રાયો અને વ્યાખ્યાઓ અપાયાં છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી પ્રવાસનિબંધની વિકાસરેખા આપી તેમાં યુરોપ વિષયક વિવિધ પ્રવાસપુસ્તકોની સંક્ષિપ્ત ચર્ચા કરેલી છે. ત્રીજાં પ્રકરણમાં યુરોપ પ્રવાસ વિષયક ત્રણ નિબંધની વાત કરી છે. મહારાણી નંદકુંવરબા લિખિત ‘ગોમંડળ પરિક્રમા’, નાનજી કાલિદાસ લિખિત ‘યુરોપ પ્રવાસ’ અને ગુલાબદાસ બ્રોકર લિખિત ‘નવા ગગનની નીચે’ એ ત્રણ પુસ્તકોમાં આલેખાયેલાં અનુભવો, પ્રવાસમાં થયેલ મુશ્કેલીઓ અને વિવિધ પ્રસંગોનો ચિતાર અપાયો છે. ચોથાં પ્રકરણમાં સંશોધન સંબંધિત તારણો અને ઉપસંહાર રજૂ થયાં છે.