ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાળકોની વાત — દિલીપ ઝવેરી

બાળકોની વાત

દિલીપ ઝવેરી

દિલીપ ઝવેરીના કાવ્ય 'બાળકોની વાત'નો અંશ આપણે જોઈએ, અને પછી નક્કી કરીએ કે શું આ બાળકોની વાત છે?

‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં
રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે'

કવિ શરૂઆત એવી ગંભીરતાથી કરે છે,જાણે તે ભગવાનની ખાનગી વાતો જાણતા હોય.એવું નથી- ખરેખર તો આ કવિકલ્પના (કલાપ્રપંચ) છે.આપણે આગળ ઉપર જોઈશું કે કવિને તો ભગવાનના અસ્તિત્વ વિશે પણ શંકા છે. (આ પંક્તિઓના સૂર પરથી પેલી યહુદી કહેવત યાદ આવી જાય, 'ભગવાન બધે તો ન જઈ શકે,માટે તેણે માતા બનાવી.')

‘બાળકોનું તો કાંઈ નક્કી નહીં
કાં તો રમતાં રહે કાં તો ભાગી જાય
ક્યારેક સાથે બેસીને વાતો કરે
કાગળની હોડીને ગટરનાં પાણીમાં તરતી મૂકે કે
કાગળનાં તીર માસ્તર પર ફેંકે
બધું ય એમને તો સરખું
...કોઈ કીડીને પકડી એના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જુએ
...સોટીના એક ઝાટકે ફૂલોને ખેરવી પડેલી પાંદડીઓની પરખ-ગણતરી કરે
...કેટલાંક બ્રેક વિનાની સાઈકલના હેન્ડલ ઉપરથી હાથ હઠાવી
ધડડધૂમ સવારી કરે
કેટલાંક દરવાજા વાસી પોતાની બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરે'

અહીં બાળકોની હરકતો આબેહૂબ ઝીલાઈ છે.રામ અને કૃષ્ણનાં અમુક જીવનપ્રસંગો જોતાં લાગે, જાણે તેમણે બાળકોનું જ અનુકરણ કર્યું છે- 'રમતાં રહે' (યમુનાકિનારે ગેડીદડો રમવું), 'ભાગી જાય' (જરાસંધ અને કાળયવનના ભયથી મથુરા છોડી દઈ,દ્વારિકા ભાગવું), 'સાથે બેસીને વાતો કરે' (અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો), 'કાગળની હોડીને ગટરના પાણીમાં તરતી મૂકવી' (લોકનિંદાને કારણે નિર્દોષ સીતાને વનવગડામાં છોડી દેવી), 'કીડીના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જોવું' (દુર્યોધનની જાંઘ ભંગાવવી), 'સોટીના ઝાટકે ફૂલોની પાંદડીઓ ખેરવી પાડવી' (કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેનાને હણાવી નાખવી), 'બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરવી' (ગોપીઓ ભેગાં લીલા કરવી).... કવિનાં બે વિધાન મહત્ત્વનાં છે- 'બાળકોનું તો કાંઈ નક્કી નહીં' (ઇવેન્ટ્સ ઇન ધ યુનિવર્સ આર નોટ પ્રી-પ્લાન્ડ,બટ રેન્ડમ), 'બધું ય એમને તો સરખું' (ભગવાન નથી ક્રૂર કે નથી દયાળુ,તે જીવસૃષ્ટિનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન- ઇન્ડિફરન્ટ-છે.) કવિ આગળ લખે છે:

‘હવે તમને ખબર પડશે કે કેમ મૂંગાંબહેરાં બાંડાં બાળક જન્મે છે,વેગળી બુદ્ધિનાં,દરિદ્રી,આંધળાં
હવે તમને જાણ થશે કેમ પૂર,ઝંઝાવાત,દુકાળ કે ધરતીકંપ થાય છે
હવે તમને વિચાર આવશે કે હરણને મારતો વાઘ અને ઘાસને ખેંચીતાણીચાવી જતું
હરણ એક જ છે
હવે તમને ધ્યાનમાં આવશે કે યુદ્ધ કેમ અટકતાં નથી
હવે તમારા મનમાં પ્રકાશ થશે કે ભગવાનને ન્યાય,માફી એવી એવી ફાલતૂ વાતો
જે તમારા એદી ભેજામાં ભેગી થઈ છે તેની જરા ય પડી નથી'

બાળકો મૂંગાંબહેરાં કેમ જન્મે છે? પૂર્વજન્મનાં પાપ? ધરતીકંપ કેમ થાય છે? તે પ્રદેશના લોકોનાં દુષ્કર્મ?ના રે ના!વિશ્વનું નિર્માણ તમને કે મને કેન્દ્રમાં રાખીને થયું નથી.બાળકો કીડીના ટાંટિયા તોડી નાખે,કે સોટીના ઝાટકે ફૂલ વિખેરી નાખે, તેમ કશા પ્રયોજન વગર ભગવાન આ બધું કરે છે.શેક્સપિયરે કહ્યું છે:

એઝ ફ્લાઇસ ટુ વોન્ટન બોય્ઝ આર વી ટુ ધ ગોડ્સ
ધે કિલ અસ ફોર ધેર સ્પોર્ટ

(રખડુ છોકરા રમત-રમતમાં માખી મારે, તેમ દેવતાઓ આપણને મારે છે.) વાઘની હિંસાને આપણે વખોડી ન શકીએ: જે દહાડે હરણ બચી જાય,તે દહાડે વાઘ ભૂખ્યો સૂએ છે.વાઘ હરણને ખાય,અને હરણ ઘાસને,એમાં તાત્ત્વિક દ્રષ્ટિએ કશો ફરક નથી. ('ખેંચીતાણીચાવી' ક્રિયાપદોથી હિંસા સૂચવાઈ છે.) હિંદુ ધર્મમાં જીવનને ઈશ્વરની 'લીલા' (રમત) ગણાયું છે: બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. અંતે કવિ કહે છે:

‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે

અને વળી મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે.'

મોટી વયના મનુષ્યો પણ બાળકોની જેમ રમતિયાળ,મનસ્વી,ક્રૂર (અને ડરપોક) હોય છે,માટે જ દુનિયા ન્યાયી નથી.કવિએ પ્રાથમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં પી.એચ.ડી.નો શોધનિબંધ લખ્યો છે.

***