ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સૌ. હંસા મહેતા

સૌ. હંસા મહેતા

ગુજરાતી જનતાને ‘કરણઘેલા’ના કર્તા નંદશંકરનું નામ સુપરિચિત છે; અને એથી વિશેષ કીર્તિ અને પ્રસિદ્ધિ એમના પુત્ર સર મનુભાઈ નંદશંકર મહેતાએ વડોદરા રાજ્યના દિવાન તરીકે પ્રાપ્ત કરેલી છે. એ મહાન પુરુષની બીજી પુત્રી તે સૌ. હંસાબ્હેન. એમની માતાનું નામ શ્રી. હર્ષદાકુમારી છે; અને એમનો જન્મ સુરતમાં તા. ૩ જી જુલાઈ ૧૮૯૭ના રોજ થયો હતો. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજ શિક્ષણ બધું એમણે વડોદરામાંજ લીધું હતું. શાળાના અભ્યાસમાં વખતોવખત ઈનામો મેળવ્યાં હતાં; એટલુંજ નહિ પણ સન ૧૯૧૩ માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી ત્યારે તેમને યુનિવર્સિટીનું ચૅટફીલ્ડ પ્રાઈઝ તથા નારાયણુ પરમાનંદ પ્રાઈઝ મળ્યાં હતાં. એ જ પ્રમાણે કૉલેજના અભ્યાસ દરમિયાન ચારે વર્ષ સ્કોલરશીપો અને ઇન્ટરમીડીઅટની પરીક્ષા પસાર કરતાં, ગંગાભાઈ ભટ્ટ સ્કૉલરશીપ યુનિવર્સિટી તરફથી તેમને મળી હતી. તેઓ સન ૧૯૧૮ માં તત્ત્વજ્ઞાનમાં ઑનર્સ સાથે બી. એ., થયલા. આમ તેમની એક વિદ્યાર્થીની તરીકેની કારકિર્દી ઉજ્જવળ અને યશસ્વી નિવડી હતી. તે પછી વધુ તાલીમ મેળવવા તેઓ યુરોપ, જાપાનાદિ પ્રદેશોની મુસાફરીએ નિકળ્યા હતા. લંડનમાં તેમણે પત્રકારિત્વનું અને સમાજશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું હતું. જાપાનમાર્ગે અહિં પાછા ફરતાં તેમણે જબરજસ્ત ધરતીકંપ અનુભવેલો; અને પ્રભુ કૃપાથી બચી ગયેલા. એમની સાહસિક વૃત્તિ અને નિડરતા જેમ પ્રવાસમાં નજરે પડતા તેમ તે વૃત્તિ તેમણે જીવનમાં પણ કેળવી છે અને તેથી રૂઢિ-પ્રણાલિકાનું ઉચ્છેદન કરી તેમણે વર્ણાન્તર લગ્ન ડૉ. જીવરાજ મહેતા સાથે તા. ૩ જી જાન્યુઆરી ૧૯૨૪ ના રોજ વડોદરામાં કર્યું હતું. તે માટે ખરે તેમને ધન્યવાદ ઘટે છે. મુંબાઈનુ જીવન એટલુંબધું વ્યવસાયી હોય છે કે તેમાંથી સાહિત્યવાચન અને લેખન માટે મુશ્કેલીએ સમય મળે; તેમ છતાં બાલકો માટેની કુદરતી લાગણીથી પ્રેરાઈને જે વાર્તાસાહિત્ય તેમણે આપ્યું છે તે ખચિત પ્રશસ્ય છે; અને ‘બાલજીવન’ માસિકના ચાલુ વાચકો એમની વાર્તાની આતુરતાથી રાહ જોતા રહે છે, એ એમની કલમની સફળતાનું તેમ એમના લેખોની લોકપ્રિયતાનું અચૂક નિશાન છે. વળી વાનરસેના પરિષદના પ્રમુખ તરીકેની તેમની ચૂંટણી, તેના સાક્ષીરૂપ કહી શકાય. એમનાં “ત્રણ નાટકો” પણ એટલાંજ આકર્ષક નિવડ્યાં હતાં; અને પ્રિન્સિપાલ ધ્રુવ જેવા સમર્થ વિવેચકે તે કૃતિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી, એ એમના માટે ઓછું માનાસ્પદ નથી. પરંતુ ચાલુ અહિંસાત્મક યુદ્ધમાં જોડાઇ મુંબાઈની સંગ્રામ સમિતિના સરમુખત્યાર તરીકે જે કિમતી સેવા તેમણે રાતદિવસ અવિશ્રાન્ત પરિશ્રમ લઇને દેશની બજાવી હતી તે જોઈ સૌ આશ્ચર્યચકિત બન્યા હતા; અને ગુજરાતનું જ નહિ પણ સમસ્ત સ્ત્રીજાતિનું નામ ઉજ્જવળ અને ગૌરવભર્યું-ઉચું રાખવામાં એમણે આપેલો હિસ્સો કદિ વિસરાશે નહિ.

: : એમની કૃતિઓ. : :

બાલ વાર્તાવલિ ભાગ ૧ લો સન ૧૯૨૬
ત્રણ નાટકો  ”
બાવલાના પરાક્રમો*  ”  ૧૯૨૯
બાલવાર્તાવલિ ભાગ ૨ જો  ”
  • ઈટાલિયન વાર્તા “Adeventures of Pinnochio” પરથી