ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/દત્તાત્ર્ય બાલકૃષ્ણ ડિસકલકર

દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસકલકર

એઓ જાતે મહારાષ્ટ્રીય દેશસ્થ બ્રાહ્મણ છે. એમનો જન્મ સન ૧૮૯૨માં સાતારામાં થયો હતો. પિતાનું નામ બાલકૃષ્ણ મૈરાળ ડિસકલકર અને માતાનું નામ સૌ. સરસ્વતીબાઈ છે. તેમનું લગ્ન સન ૧૯૧૩માં ઈંદોરમાં શ્રીમતી રમાબાઈ સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધેલું અને ઇંદોર અને બનારસ કૉલેજમાં અભ્યાસ કરી યુનિવર્સિટિની એમ. એ; ની ડીગ્રી મેળવી હતી.

હાલમાં તેઓ ૧૯૩૦થી તેમના જન્મસ્થળ સાતારામાં હિસ્ટૉરિકલ મ્યૂઝીયમના ક્યુરેટર તરીકે કામ કરે છે. તેઓએ પૂર્વે વૉટસન મ્યુઝિયમ, રાજકોટમાં ૧૯૧૯ થી ૧૯૨૯ સુધી અને કર્ઝન મ્યૂઝીયમ મથુરામાં ૧૯૨૯ થી ૧૯૩૦ સુધી ક્યુરેટર તરીકે કામ કર્યું હતું. તેમણે ગુજરાતના ઈતિહાસ વિષે સારી રીતે અભ્યાસ કરી તેમ કાઠિયાવાડમાં મુસાફરી કરી અનેક પ્રાચીન લેખો, શિક્કા વિગેરે મેળવ્યા હતા, અને વખતોવખત સાહિત્ય પરિષદમાં તેમ માસિક પત્રોમાં અને હિંદુસ્થાનના જુદા જુદા ઓરીએંટલ જર્નલોમાં નિબંધો રજુ કર્યા હતા, તે જેમ ઉપયોગી તેમ મહત્વના માલુમ પડશે. ડો. બ્યુહલર અને પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ જે સંગીન કાર્ય ઈતિહાસના સંશોધનમાં કર્યું હતું, તે આગળ ચાલુ રાખવાનું માન તેમને ઘટે છે; અને તે વિષયને એમણે પોતાનો પસંદગીનો વિષય કરેલો છે.

ગુજરાતી સાહિત્યની દક્ષિણી બંધુઓ સેવા કરતા આવ્યા છે, તેમાં ઇતિહાસનાં વિષયમાં તેમની સેવા કિમતી તેમ સ્તુતિપાત્ર માલુમ પડશે. ગુજરાતના ઈતિહાસના સંશોધન અને અભ્યાસ પાછળ તેમણે પોતાનું જીવન અર્પણ કરેલું છે. હિંદુસ્થાનમાં ઉપલબ્ધ થયેલા અસંખ્ય ઉત્કીર્ણ લેખોમાંથી કેટલાક સંસ્કૃત ભાષાના અને કાવ્યના ઉત્કૃષ્ટ નમુનાઓ મળે છે અને કાલિદાસ ભવભૂતિ જેવાની કવિ કૃતિઓ સાથેજ તેઓનું પણ અધ્યયન સંસ્કૃતના અભ્યાસીઓ કરે એ હેતુથી તેમણે Selections from Sanskrit Inscriptions ના બે ભાગ પ્રસિદ્ધ કરેલા છે જે કેટલીક યુનિવર્સિટીઓમાં એમ. એ. ના કોર્સમાં પાઠ્ય પુસ્તક તરીકે પસંદ થયેલા છે, અને તે સંસ્કૃતભાષા સાહિત્યનો પરિચય કરાવવાની સાથે પ્રાચીન હિન્દના ઇતિહાસ વિષે સારો પ્રકાશ પાડે છે.

—:એમની કૃતિઓ:—

(૧) Selections from old Inscriptions Part I-II. ૧૯૩૨