ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કરસનદાસ નરસિંહ માણેક

કરસનદાસ નરસિંહ માણેક

શ્રી. કરસનદાસ માણેકનો જન્મ સં.૧૯૫૮ના કારતક વદ ૨ ને દિને કરાચીમાં થએલો. તેમના પિતાનું નામ નરસિંહ ડાહ્યાભાઈ અને માતાનું નામ જીવીબાઈ. તેમનું મૂળ વતન જામનગર તાબાનું હડીઆણા ગામ, અને ન્યાત લોહાણા. ઈ.સ.૧૯૧૨માં તેમનું લગ્ન સૌ. ધનલક્ષ્મી વેરે થએલું, જેમનું અવસાન થતાં બીજું લગ્ન સૌ. રાધાબાઈ વેરે કરાચીમાં થએલું. તેમને બે સંતાનો છે, એક પુત્ર અને એક-પુત્રી. શ્રી. કરસનદાસે પ્રાથમિક કેળવણી કરાચીની એક ખાનગી શાળામાં લીધેલી, માધ્યમિક કેળવણી ત્યાંની મિશનસ્કૂલમાં લીધેલી અને ઉચ્ચ કેળવણી કરાચીની ડી. જે. સિંધ કૉલેજમાં લઈને અંગ્રેજી તથા સંસ્કૃત સાથે બી. એ.ની પરીક્ષા પસાર કરેલી. વચ્ચે ૧૯૨૧માં અસહકારની ચળવળને પરિણામે તેમણે કૉલેજ છોડેલી અને ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષ અભ્યાસ કરેલો. કૉલેજ છોડ્યા પછી તેમણે શિક્ષણનો વ્યવસાય શરુ કરેલો અને કરાચીની બે જુદી જુદી હાઈસ્કૂલોમાં પ્રિન્સીપાલ તરીકે બારેક વર્ષ સુધી નોકરી કરેલી. ત્યારપછી તેમણે પત્રકારત્વની દિશા પકડી છે અને 'જન્મભૂમિ' કાર્યાલયમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું છે. રાષ્ટ્રીય માનસને લીધે સત્યાગ્રહની ચળવળના વખતમાં તેમને બે વાર કારાગૃહવાસ વેઠવો પડ્યો છે : ૧૯૩૦માં આઠ માસ અને ૧૯૩૨માં સવાબે વરસ. સાહિત્ય અને માનસશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. કાકા કાલેલકરની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. બાઈબલ, સરસ્વતીચંદ્ર અને શાહનો રસાલો (સિંધી) એ એમનાં પ્રિય પુસ્તકો છે. તેમની પ્રથમ સાહિત્યકૃતિ તે રવીંદ્રનાથ ટાગોરના બંગાળી નાટક ‘મુક્તધારા'નો અનુવાદ, જેની પ્રસ્તાવના શ્રી. રામનારાયણ વિ. પાઠકે લખી છે. ૧૯૨૪માં તેમનાં 'બે બાળનાટકો' પ્રસિદ્ધ થયાં જે ટાગોરના ‘મુકુટ' તથા 'શારદોત્સવ'નો અનુવાદ છે. નવીન પેઢીના કવિતાલેખકોમાં શ્રી માણેકનું સ્થાન મોખરે છે. ૧૯૩૪માં ‘ખાખનાં પોયણાં' નામક તેમનું ખંડકાવ્ય પ્રસિદ્ધ થયેલું અને ૧૯૩૫માં ‘આલબેલ’ નામનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. પત્રકારત્વમાં દાખલ થયા પછી તેમણે વ્યંગકાવ્યોના લેખનમાં સારી સફળતા મેળવી છે જેની વાનગી રૂપ ‘વૈશંપાયનની વાણી’ ૧૯૪૩ પ્રસિદ્ધ થઈ છે.

***