ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર

ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર

મૂળ પોરબંદરના વતની પણ બે પેઢીથી મુંબઈમાં શેરદલાલી કરતા દશા શ્રીમાળી જૈન વણિક કોમના ગર્ભશ્રીમંત કુટુંબમાં ઈ.સ.૧૯૦૯ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે પોરબંદરમાં એમનો જન્મ થયો. એમના પિતાનું નામ હરજીવનદાસ નેમીદાસ અને માતાનું નામ વ્રજકુંવરબાઈ. પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં લઈ મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાંથી તે મેટ્રિક અને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૩૦માં બી.એ. થયા. બાળપણથી જ તે અભ્યાસમાં આગળ પડતા હતા અને અંગ્રેજી ત્રીજા ધોરણથી હંમેશાં પ્રથમ રહી ભરડા હાંઈસ્કૂલમાં પ્રિલિમિનરીની સ્કૉલરશિપ પણ જીતેલી. ઇ.સં.૧૯૨૭માં સૌ. સુમનબહેન સાથે એમનું લગ્ન થયું, અને એક પુત્ર તથા બે પુત્રી એમ ત્રણ સંતાનો એમને હાલ છે. અભ્યાસના પ્રિય વિષયોમાં સાહિત્ય ઉપરાંત રાજકારણ પણ હોવાથી તે અભ્યાસકાળથી જ તેમાં સક્રિય રસ લેતા, અને ૧૯૩૦માં બી. એ. થયા પહેલાં જ ૧૯૨૯માં મુંબઈ પ્રાંતિક સમિતિની કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ચુંટાયા હતા, જ્યાં ૧૯૩૪ સુધી તેમણે ઉત્સાહભર્યો કાર્યભાગ નોંધાવ્યું. ૧૯૩૦-૩૧માં સમિતિની બૉયકૉટ કમિટીમાં મંત્રી તરીકે કામગીરી કરી અને ૧૯૩૨-૪૩ની સત્યાગ્રહની લડતમાં ૧ વર્ષ ને ૪ માસ જેલવાસ મળ્યો. અહીં જ તેમની લેખનપ્રવૃત્તિની શરૂઆત થઈ. વાચનનો ખૂબ શોખ ધરાવનાર પિતા તો જોકે એમને ૧૦ વર્ષના મૂકીને ગુજરી ગએલા, પણ એમનાં એકઠાં કરેલાં પુસ્તકોના વાચને એમનામાં સાહિત્યનો રસ જગાડ્યો ને પોષ્યો હતો. જેલનિવાસ દરમ્યાન એ લેખનમાં પરિણમ્યો અને ‘જૂના સંસ્કાર' નામની પહેલી વાર્તા એમણે ત્યાં લખી. 'પ્રસ્થાન'માં પ્રકટ થએલી 'લતા’ (અને તેને અનુસંધાને લખાયેલી 'લતા શું બોલે?' વગેરે) વાર્તાએ એમને પ્રસિદ્ધિ અપાવી અને ઇ.સ.૧૯૩૮માં એમનો પહેલો સંગ્રહ ‘લતા અને બીજી વાતો’ બહાર પડ્યો. ૧૯૪૧માં બીજો સંગ્રહ ‘વસુધરા અને બીજી વાતો' બહાર પડ્યો. વાર્તાઓ ઉપરાંત કાવ્ય, નિબંધ વગેરે ક્ષેત્રોમાં પણ એમણે કલમ ચલાવી છે, પણ બહ્યાડંબર વિના મનોવ્યાપારનું સુધીર ને સ્વસ્થ પૃથક્કરણ કરતી તથા ઝીણવટભરી શુદ્ધ શબ્દપસંદગીવાળી એમની સચોટ નવલિકાઓએ જ એમને વધુ સફળતા અપાવી છે.

***