દયાશંકર ભગવાનજી કવિ

કવિ દયાશંકર ભગવાનજી (૧૮૫૯,–) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ જામનગરમાં. ૧૮૮૪માં જામનગર સ્ટેટમાં વકીલોની પરીક્ષામાં સેકન્ડ ક્લાસ પાસ. અન્ય સ્થળોએ વકીલાત કર્યા બાદ ૧૮૯૧થી જામનગર ખાતે સફળ વકીલાત. એમણે આપેલા ચરિત્રગ્રંથોમાં કસ્તૂરબાનો, પતિમાં આત્મવિલોપન કરનાર સહધર્મચારિણી તરીકેનો સારો પરિચય કરાવતું ‘કસ્તૂરબા’ (૧૯૪૪), તત્કાલીન રાજકીય વાતાવરણની અને લોકમાનસની પ્રાસંગિક જિજ્ઞાસા સંતોષતું ‘રણચંડી કૅપ્ટન લક્ષ્મી’ (૧૯૪૬) અને પ્રસંગનિરૂપણ તેમ જ વર્ણન દ્વારા ચરિત્રનાયકનો પરિચય કરાવતું ‘અમારા સરદાર’ (૧૯૪૬) એ પુસ્તકો મુખ્ય છે. શરદબાબુની ‘પથેરદાબી’ (બે ભાગ) તથા ‘અનુરાધા’ અને નિરૂપમાદેવીની ‘બહેન’ એ બંગાળી કૃતિઓના એમણે કરેલા અનુવાદ છે.