દરિયાપારથી.../ઋજુ પળોની પ્રસ્તુતિ

ઋજુ પળોની પ્રસ્તુતિ

કોઈ પણ સમાજના મોટા ભાગના લોકો માટે સિનેમા સહેલું, સહેલાઈથી અને સસ્તામાં માણી શકાય તેવું માધ્યમ છે. દરેક દેશમાં મૌલિક અભિગમ તથા વિશિષ્ટ દૃષ્ટિકોણવાળા અનેક કળાકાર હોય છે, અને સિનેમા જેવા પૉપ્યુલર માધ્યમમાં પણ પ્રશસ્ય કળાકૃતિઓ બનતી અને પ્રસ્તુત થતી જ રહેતી હોય છે. અમેરિકા જેવા દેશમાં તો આવા કળાકારો મૂળ કૃતિને એવી બદલી નાખે કે એને ઉદ્ધતાઈ, કે ઉત્શૃંખલતા, કે બેશરમી પણ કહી શકાય. જોકે વધારે પ્રમાણમાં એને કલ્પનાનું અદ્ભુત ઉડ્ડયન જ ગણવામાં આવતું હોય છે. શેક્સપિયરનાં નાટકો પરથી પણ ઘણી ફિલ્મ બનતી રહે છે, ને ક્યારેક તો એવી હિંમતભેર કે શેક્સપિયર જુએ તો પોતે પણ નવાઈ પામી જાય. એમના નાટકનું નામ રહ્યું હોય, અને એની કથા પણ રહી હોય, પણ સંવાદ, સ્થાન, વેષભૂષા, અને અર્થઘટન વગેરે સમૂળગાં બદલાઈ ગયાં હોય. આ સિવાય, હિંસ્ર અને અત્યાચારી ફિલ્મોનો ધસારો તો દરેક દેશમાં થતો જોવા મળે છે. એમને જોવા માટે તે તે દેશના લોકો ભીડ પણ કરતા જ રહેતા હોય છે. કદાચ આ જન-સાધારણને ખબર પણ નથી, કે હૃદયના કોમળ ભાવ અને પ્રેમની ઋજુ પળોનું નિરૂપણ કરતી ફિલ્મો એમને પોતાને કેટલી પસંદ છે. અમેરિકાના લોકગણનું આમ જ છે. વખતોવખત એવી સંવેદનશીલ સિનેમા બહાર પડતી હોય છે, કે જે એને ખૂબ વહાલી લાગવા માંડે છે. એમાં “ધ પોસ્ટમૅન” જેવી ઇટાલિયન, કે “બ્રિજિસ ઑફ મૅડિસન કાઉન્ટિ” જેવી અમેરિકન, કે “લૅન્ટર્ના” નામની ઑસ્ટ્રેલિયન, કે “યી યી” નામની તાઈવાની વગેરે ફિલ્મોનો ઉલ્લેખ કરી શકાય. છતાં એક લેખિકાનું નામ એવું છે કે એમની નવલકથાઓ પરથી બનેલી ફિલ્મો અત્યંત લોકપ્રિય બની છે. કલમની બારિકાઈ અને વિગતોની મર્મગ્નતા માટે ચિરકાળથી પ્રખ્યાત લેખિકા એટલે ઇંગ્લૅંડનાં જેન ઑસ્ટેન. જન્મ ૧૭૭૫માં, મૃત્યુ ૧૮૧૭માં, ને બસો વર્ષો થઈ ચૂક્યાં હતાં ત્યારે પણ એમની સર્જકતાનો અધિકાર પશ્ચિમના, સિનેમા જેવા, અત્યંત પ્રતિસ્પર્ધાત્મક દૃશ્ય-શ્રાવ માધ્યમ પર હજી પણ સ્પષ્ટપણે વર્તાતો હતો. કેટલાંક વર્ષ પહેલાં એમની નવલકથાઓ પરથી, એકાદ જ વર્ષની અંદર, ત્રણ પૂરેપૂરાં બ્રિટિશ પ્રોડક્શન ફિલ્મ રૂપે રજૂ થયાં હતાં. પહેલાં આવેલી “પર્સ્વેશન” (પર્સુએશન). એને જરા ગંભીર અને ગ્લાનિથી ભરેલી કહી શકાય, પણ નવલકથાની જેમ જ ફિલ્મની આકૃતિ પણ સ્વચ્છ રીતે કંડારાયેલી, અને બીલકુલ ક્શતિવિહીન હતી. લોકો હજી એ જુએ-ના જુએ, ત્યાં તો તેજોજ્વળ એવી “સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી” પ્રદર્શિત થઈ ગઈ. એની અસર તો એવી થઈ કે દરેક થિયેટરના દરેક ખેલ હાઉસ-ફુલ થવા માંડ્યા. એવી ફિલ્મ જે જોતાં હૃદય આર્દ્ર થાય, આંખમાં આંસુ આવે, સુખનું હસવું યે આવે, ને પાત્રોના ભાવો સાથે એકરૂપતા અનુભવાય. એ જોતાં જોતાં હું મનમાં કહેતી હતી, “અરે ઓ દુનિયાના બધા લોકો, બધું ભૂલી જાઓ. આ એક ફિલ્મ જુઓ. નાચતી, ગાતી, જાડી, પાતળી અભિનેત્રીઓને અને મારામારી કરતા, જુલ્ફાં ઉછાળતા અભિનેતાઓને વિસારી દો. મોઘમ, મૃદુ, સૂક્શ્મ અને સુરેખ એવી આ જ એક ફિલ્મ જુઓ.” મનમાં એમ થાય કે જીવન આવું જ હોય તો? દુનિયામાં દરેક જણ આવા વિવેક અને સંયમની સાથે જ વર્તતું હોય તો? એ વર્ષે એવું બનેલું કે આ બે ફિલ્મો તો હજી ચાલતી જ હતી, ને એમાં વળી ઇંગ્લૅંડના બિ.બિ.સી. ટેલિવિઝન માટે તૈયાર કરાયેલું, છ કલાકનું એક અનુષ્ઠાન અમેરિકાના ટિ.વિ. પર સળંગ ત્રણ રાત પ્રસારિત થયું. એનું નામ હતું, જેન ઑસ્ટેનની નવલકથા પરથી, “પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ”. એવું અનુમાન થયેલું કે એ પ્રસારણ જોવા લગભગ ચાલીસ લાખ ટિ.વિ. સેટ એ ચૅનલ પર લાગેલા રહેલા. એમાં ઓગણીસમી સદીના મધ્યમ વર્ગના જીવનનંુ આમાં નિરૂપણ છે. નથી એમાં હિંસા, સુવ્યક્ત શૃંગાર, ઉપરછલ્લું હાસ્ય, રહસ્યમયતા, કે કોઈ સનસનાટી. તો પણ અમેરિકા એની તરફ કેમ આકર્ષાઈ રહ્યું છે?, એવી ચર્ચાઓ ચોતરફ ખૂબ ચાલેલી. સમાજ અને સંસ્કૃતિના અભ્યાસીઓ આ ત્રણે ત્રણ શાંત, શિષ્ટ, સભ્ય, સંયત પ્રસ્તુતીકરણ તરફના આકર્ષણ માટે આજની દુનિયાના કઠોર, કકળાટિયા, અવિવેકી, સ્વાર્થપરાયણ સમાજોને, તથા સંઘર્ષો, ઘર્ષણો ને યુદ્ધોથીછિન્ન-વિચ્છિન્ન થયેલા વિશ્વની પરિસ્થિતિને જવાબદાર ગણતા હતા. ગંદી ભાષા, હલકા વિચાર, ને અસંસ્કારી વર્તનથી આજનું જીવન ખરડાયેલું છે, ત્યારે શાલીન અને સન્માનપ્રદ સમયનું નિરૂપણ જોઈને થોડી મુગ્ધ ઈર્ષા થાય તે અભ્યાસીઓને સ્વાભાવિક લાગતું હતું. અલબત્ત, લાખો ને કરોડો લોકોનો હૃદયપલટો થવાનો નથી, કે એમનો સ્વભાવ બદલાવાનો નથી, પણ સભાનપણે જો સામૂહિક પ્રયત્ન કરવામાં આવે તો કદાચ કૈંક અમથો, થોડોયે ફેર પડે પણ ખરો. ચોખાના દાણા પર કોતર્યાં હોય તેવાં, જેન ઑસ્ટેનનાં આ કથાનકો મનને આનંદ અને જીવને હંમેશાં શાતા આપે છે. એમનાં પરથી સર્જાયેલી એ ત્રણે પ્રસ્તુતિઓ સર્જન-શક્તિની ઉચ્ચતા અને અનિંદ્યતાને કારણે અત્યંત વિશિષ્ટ બની હતી. એ જેને જોવા મળે તે દરેક જણ ખરેખર બડભાગી જ કહેવાય.