દરિયાપારથી.../‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે

‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે

આમ તો પ્રીતિ શાહ-સેનગુપ્તા પ્રવાસ-લેખન માટે જ જાણીતાં છે, પણ વાસ્તવમાં એમના સાત જેટલા કાવ્ય-સંગ્રહ છે, અને ગદ્ય-ક્ષેત્રમાં એમનાં લલિત નિબંધસંગ્રહ, વાર્તાસંગ્રહ, નવલકથા, બંગાળીમાંથી અનુવાદ વગેરે થઈને ઘણાં પુસ્તક છપાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત ઇ-બૂકમાં એમના ત્રણ લલિત – અને પ્રવાસેતર – નિબંધસંગ્રહોમાંથી પસંદ કરેલા નેવું નિબંધો ‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો – શીર્ષક હેઠળ ઉપસ્થિત કર્યા છે. એ પુસ્તકોનાં નામ છે ‘ઘરથી દૂરનાં ઘર’, ‘નિત નવા વંટોળ’ અને ‘મહાનગર’. આ નિબંધોમાં દરિયાપારથી લખાયેલા, દરિયાપાર વિશેના, વિવિધ વિષયો અને અનુભવોનાં આલેખન છે. મહાનગર ન્યૂયોર્ક શહેરમાં વસતાં વસતાં લેખિકાએ કોઈ પણ બાબત વિશે જાણવાનું, માણવાનું, સમજવાનું અને વર્ણવવાનું સીમિત નથી રાખ્યું. આવા મૌલિક સર્જકતાથી સભર કોઈ સ્થાનને અપનાવીએ તો કેટલી મન-સંપત્તિ સંચયિત થતી રહે છે, તેનું પ્રમાણ આ ઇ-બૂકમાં સ્પષ્ટ દેખાશે. આ પછી બીજા પણ નિબંધસંગ્રહો પ્રગટ થયા છે, જેમકે, ‘સ્થળાંતર’, ‘નિજાકૃતિ’ અને ‘પાંચ-મેશાલિ’. એનો પણ કંઈક પરિચય, રસ ધરાવતા વાચકોને ભવિષ્યમાં ક્યારેક કરાવીશું.

અતુલ રાવલ