દલપતરામ દુર્લભરામ કવિ

કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીનો ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શાસ્ત્રોની જાણકારી મેળવી હતી. એમના ‘દલપતદુલ્લભકૃત’ (ભાગ ૧,૨,૩) (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) કાવ્યગ્રંથ મળે છે. પહેલા ભાગમાં બ્રહ્મસ્વરૂપ અને ઈશ્વરપ્રાર્થના, બીજા ભાગમાં કન્યાઓ માટે રચેલ ‘ગીતગરબાવલી’ ને ત્રીજા ભાગમાં પ્રકીર્ણ કાવ્યો છે. ભાષા અશુદ્ધ હોવા ઉપરાંત નર્મદ ને જોસ્સો પણ એમની રચનાઓમાં નથી. ચોસઠ કળા અને શાસ્ત્રોની સમજ રજૂ કરતો, સંસ્કૃત-પ્રાકૃતમાંથી અનૂદિત પદ્યગ્રંથ ‘સકલશાસ્ત્રનિરૂપણ’ એ એમનો નોંધપાત્ર ગ્રંથ છે. આ ઉપરાંત, ‘ભાષાભૂષણ’ (૧૮૭૮) પણ એમની પાસેથી મળે છે.