નયન હ. દેસાઈની કાવ્યસંપદા/વૃક્ષો ડૂબ્યાં ને ઘર...

વૃક્ષો ડૂબ્યાં ને ઘર

વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો

નીકળે છે અર્થહિન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે? પ્રમાણીને કૈં કહો

કોઈ ડબેતો કેટલું? ડૂબી જવાનો મર્મ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો!

વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો!