પન્ના નાયકની કવિતા/પરિણામે

૩૮. પરિણામે

પહેલાંની જેમ
હવે
મને
કશું વાગતું નથી
ત્વચા ઉઝરડાતી નથી
લોહી ટપકતું નથી.
કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી
ને
આંખમાં ઝળઝળિયાં આવતાં નથી.
જગત સાથે કરેલા
આ સમાધાનને પરિણામે
કૂખમાંથી નથી જન્મતાં
ચિત્કાર કરતાં કાવ્યો...!