પન્ના નાયકની કવિતા/બા

૫૨. બા

‘સુખી થાજે બેટા!’ શુભવચન આશિષ દઈને
વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ.
કદી આવે બા, તું મુજ વ્યથિતને શાંત કરવા
હવે મારા ખાલીખમ જીવનમાં સાંત્વન થવા.
હજી એની એ તું : નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુઃખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છેઃ ‘દીકરી મીઠડી, શી ખબર છે?

કહે બેટા, તારે જીવનવન શાં શાં દુઃખ પડ્યાં?
કીધું ન્હોતું કે જે દુઃખ પણ પડે તેય સહવાં?
અહીં આ સંસારે સુખદુઃખ સદા સાથ જ જડ્યાંં!’
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા,
ફળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.