પુનરપિ/ભરતવાક્ય


ભરતવાક્ય

મહાપુરુષનું મુખ કોતરવા
એનો આરસ આવ્યો કામ
કવિને. બહુમુખ મૂર્તિ ઘડવા
એનો પારસ આંગળીઓને જાદુ કેરા આપે ઓપ.
દર્શન દેવા દેવ રુકે ના.
કવિને લાધ્યા દર્શનમાં
પ્રતિમા પ્રગટે
જે થનગનતું કવિના મનમાં.
સા-રી-ગ-મ સ્વરલિપિમાં ગોઠવતાં
યોગીનું ગાન
બોલી ઊઠે કવિના કાન.
ઉંબરે થોભી નિર્વાણના
લંબાવી એક ઘડી કલ્પના પ્રમાણમાં
ઉચ્ચર્યા કશુંક—માનતો કવિ—
(પહોંચી જ્યાં પહોંચતો નથી રવિ):
માનવકુળના દુ:ખનો ભારો
મુમુક્ષુનું પાથેય;
ઊગરવું કે ના બચવું જગને,
ઉગારવામાં
...સાધકનું શ્રેય!
—એવી બાની
સાંભળ્યાની દેતો કવિ જુબાની.