ભરત વિંઝુડાની ગઝલસંપદા/લાશ દફનાવી

૧૩
લાશ દફનાવી

એક માણસની લાશ દફનાવી
તો બીજાની શું કામ સળગાવી?

જીવ પર જાત આખી અપનાવી
ને પછી દૂર દૂર દોડાવી

ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી

કોઈ કરતું ગઝલને સુન્નત તો
કોઈ દેતું જનોઈ પહેરાવી!

આ બધું કેટલું અજાણ્યું છે
એટલી વાત માત્ર સમજાવી!

(પંખીઓ જેવી તરજ)