મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૫)


પદ (૨૫)

દયારામ

આઠ કૂવા ને નવ વાવડી રે લોલ, સોળસે પનિહારીની હાર,
મારા વ્હાલાજી હો! હાવાં નહિ જાઉં મહી વેચવા રે લોલ.
સોના તે કેરું મારું બેડલું રે લોલ, ઊઢેણી રત્નજડાવ.          મારા.
કેડ મરડીને ઘડો મેં ભર્યો રે લોલ, તૂટ્યો મારો નવસર હાર,          મારા.

કાંઠે તે ઊભો કહાનકી રે લોલ, ‘ભાઈ મને ઘડૂલો ચડાવ.’          મારા.

‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘરકેરી નાર.’          મારા.

‘તુજસરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ.’          મારા.

દયાના પ્રીતમ પ્રભુ પાતળા રે લોલ, તે તો મારા પ્રાણના આધાર.          મારા.