મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૩


પદ ૩

ગંગાસતી

મન મટિયું તેને ત્યાગી કહીએ ને
મરને વરતે વહેવાર માંય રે,
ભીતર જણ્યા તેને ભ્રાંતિ ભાંગી ને
તેને નડે નહિ માયાની છાંય રે          –મન

ભાઈ રે! આદર્યો અભિયાસ ને મટી ગઈ કલ્પના
આનંદ ઊપજ્યો અપાર રે,
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે
જેને લાગ્યો વચનુંમાં રે          –મન

ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને
વરતી થઈ ગઈ સમાન રે,
ગુરુ ને શિષ્યની થઈ ગઈ એકતાને
મટી ગયું જાતિનું માન રે          –મન

ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે,
વાસના મટી ટળી તાણાવાણ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે          –મન