રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ ઓગણીસમી પુસ્તિકા છે. કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠે આ લઘુગ્રંથમાં સ્વ. રામનારાયણ વિ. પાઠકના સમગ્ર સાહિત્ય વિષે વિસ્તારથી નિઃશેષ નિરૂપણની રીતે લખ્યું હોઈ એનું કદ વધી જવા પામ્યું છે, અને એ કારણે પ્રકાશકને અપવાદરૂપે એની કિંમત વધારવી પડી છે. ‘શ્રેણી’ની વીસ પુસ્તિકાઓમાં ‘ડૉ. પ્રબોધ પંડિત’ અને ‘રામનારાયણ વિ. પાઠક’નું કદ ‘શ્રેણી’ની યોજના કરતાં અનિવાર્યતયા વધી ગયેલું છે. હવેથી નિશ્ચિત પૃષ્ઠમર્યાદાનો આગ્રહ જળવાઈ રહેશે. ડૉ. ચન્દ્રકાન્ત શેઠે સંનિષ્ઠાપૂર્વક આ લઘુગ્રંથ તૈયાર કરી આપ્યો એ માટે તેમનો આભાર માનું છું. સાહિત્યરસિક વર્ગે આ શ્રેણીને જે ઉમળકાભર્યો આવકાર આપ્યો છે એ માટે આભારની લાગણી અનુભવું છું. ‘શ્રેણી’ની અન્ય પુસ્તિકાઓ હાલ છપાઈ રહી છે તે શક્ય તેટલી વહેલી પ્રગટ થશે.

૨, અચલાયતન સોસાયટી,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
૧૫ ઑગસ્ટ, ૧૯૭૮

રમણલાલ જોશી