વેળા વેળાની છાંયડી/૪૬. ઘોડાગાડીના ઘૂઘરા

૪૬. ઘોડાગાડીના ઘૂઘરા

જસી માટે બંધાયેલા લગ્નમંડપમાં તે રાતે જ, ઓતમચંદ, બટુક ને લાડકોરની હાજરીમાં ચંપા અને નરોત્તમનાં લગ્ન પતી ગયાં.

⁠મેંગણીના દરબારને જાણ થઈ કે ઓતમચંદ શેઠ ગામમાં આવ્યા છે, ને એભલ આહીરને ઘે૨ એનો ઉતારો છે, ત્યારે દ૨બા૨ જાતે એભલના વાડે જઈ ચડેલા. ગુપ્તવેશે રહેલા આ અતિથિને મીઠો ઠપકો પણ આપેલો. પછી તો દરબારે ગોરા સાહેબના શિરસ્તેદા૨ કીલાભાઈને પણ ઓળખી કાઢ્યો, તેથી તો પોતે ખડે પગે ખાતરબરદાસ્તમાં અને લગ્નવિધિમાં હાજર રહ્યા અને નરોત્તમને ધામધૂમથી ૫૨ણાવ્યો.

⁠લગ્નવિધિ દરમિયાન કીલો વારંવા૨ મનસુખલાલને કહ્યા કરતો હતો:

⁠‘મનસુખભાઈ, તમે તો ભારે કરી અમારા ઉ૫૨!’

⁠‘મેં કે તમે?’

⁠‘તમે, આ જુવો ને, અમે અહીં આવ્યા આંટો મારવા, ને તમે તો પરભુલાલને પરણાવી પણ દીધો!’

⁠‘ભલા માણસ, હવે તો એનું સાચું નામ નરોત્તમ કહીને બોલો! કે હજીય ૫૨ભુલાલને નામે હાંક્યે રાખશો?’

⁠‘એનું સાચું નામ નરોત્તમ પણ નથી–’

⁠‘નરોત્તમ પણ નહીં? ત્યારે શું વળી?’

⁠‘મોટો!’ કીલાએ કહ્યું, ‘મેં એને પહેલેથી જ મોટો કહીને બોલાવ્યો છે, એટલે હવે નરોત્તમ જેવું અઘરું નામ જીભે નહીં ચડે! તમારે મન ભલે એ નરોત્તમશેઠ હોય કે ૫૨ભુલાલ હોય, મારે મન તો બસ મારો મોટો જ!’

⁠કીલો જ્યારે આ રીતે સંતોષ વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે એભલ આહીર અને હીરબાઈ વળી આજના અણધાર્યા શુભ પ્રસંગને પરિણામે કીલા કરતાંય અદકી કૃતાર્થતા અનુભવી રહ્યાં હતાં.

⁠એકમાત્ર લાડકોર એની આદત મુજબ, પતિએ પોતાને ઘણી ણી બાબતોથી આજ સુધી અજાણ રાખવા બદલ ઓતમચંદને પ્રેમાળ ઠપકો આપી રહી હતી:

⁠‘તમે તો મીંઢા તે કાંઈ મીંઢા! મને તો આ બધી વાતની ગંધ પણ ન આવવા દીધી!’

⁠પત્ની તરફથી વારંવાર પોકારાતા આ તહોમતનામા અંગે ઓતમચંદ પાસે એક પણ ઉત્તર નહોતો, તેથી એ મૂંગો જ રહેતો હતો. અને પરિણામે, પત્ની વધારે ને વધારે ઉગ્રતાથી ફરિયાદ કર્યા કરતી હતી:

⁠‘તમે તો મૂંગા તે કાંઈ મૂંગા! મોઢામાં જાણે કે મગ જ ભરી રાખ્યા કાંઈ!’

⁠આ પ્રહારો સામે પણ ઓતમચંદ તો મૂંગો જ રહેતો હતો, તેથી લાડકોર વધારે ચિડાતી હતી.

⁠બીજે દિવસે સહુ વાઘણિયા જવા ઊપડ્યાં. ઓતમચંદની એક ઘોડાગાડીમાં તો બધાં ઉતારુઓ સમાય એમ નહોતાં, કેમ કે, એમ ત્રણ નવી વ્યક્તિઓ – નરોત્તમ, ચંપા અને કીલા – નો ઉમેરો થઈ ગયો હતો. તેથી દરબારે પોતાની ઘોડાગાડી હોંશભેર કાઢી આપી. ઓતમચંદે પોતાની ઘોડી અહીં જ રહેવા દીધી, જેથી કીલા સાથે ગાડીમાં બેસીને આખે રસ્તે ગપ્પાં મારી શકાય.

⁠વિદાય વેળાએ સારો મેળો જામ્યો. વળાવનારાઓમાં દરબારથી માંડીને એભલ, હી૨બાઈ ને બીજલ સુધીનાં સ્વજનો હતાં. પોતાની બહેનપણીના વિયોગને કા૨ણે શારદાની આંખ તો સુકાતી જ નહોતી.

⁠મેંગણીના પાદરમાંથી એકને બદલે બે ઘોડાગાડીઓ સામટી ઊપડી અને ઘૂઘરાના રણકારે આખી સીમને ભરી દીધી.

⁠કીલા માટે આજે જીવનનો ધન્ય પ્રસંગ હતો. આખે મારગે એ ઓતમચંદને પોતાની અને ભેગાભેગી નરોત્તમની પણ આપવીતી કહેતો જતો હતો. વચ્ચે વચ્ચે મનસુખલાલની બેવકૂફીની મજાક ઉડાવતો જતો હતો: ‘બિચારા મનસુખલાલ! એનામાં બધુંય છે, પણ મીઠાની જરાક તાણ રહી ગઈ છે. એટલે ભલો માણસ ઓળખી જ ન શક્યો કે હું કોણ?... કીલો કાંગસીવાળો!’

⁠‘હવે તમને કાંગસીવાળા ન કહેવાય! તમે તો મોટા લાટસાહેબના શિરસ્તેદાર!’ ઓતમચંદે એક વાર કહ્યું.

⁠‘ના રે ભાઈ, કાંગસીવાળાની પદવી તો શિરસ્તેદાર કરતાં સાતગણી ઊંચી છે,’ કીલાએ સમજાવ્યું. શિરસ્તેદારનો હોદ્દો તો ગોરાસાહેબે આપ્યો છે, પણ કાંગસીવાળાની પદવી તો મારા લોકભાઈયુંએ દીધી છે. આ દુનિયામાં મારા જિગરજન બંધવા ત્રણ જણા છે—’

⁠‘કોણ, કોણ?’ ઓતમચંદે પૂછ્યું.

⁠‘એક મારો ભાઈબંધ દાવલશા ફકીર, બીજે ઓલ્યો ભગલો ગાંડો... ને ત્રીજો મારો મોટો—’

⁠‘મોટો? એ કોણ વળી ?’

⁠‘તમારો નાનો ભાઈ... જેને મનસુખલાલ બિચારા જીવ હમણાં લગી પરભુલાલ શેઠ ગણતા હતા, એ જ–’

⁠સાંભળીને ઓતમચંદ હસ્યો.

⁠પણ ત્યાં તો કીલાએ એક ગંભીર વાત ઉચ્ચારી: ‘હું તો કાલે સવારે આ શિરસ્તેદા૨ી છોડીને પાછો સ્ટેશન ઉપર રમકડાં વેચવા બેસી જઈશ—’

⁠‘એમ તે કરાતું હશે, કીલાભાઈ?’

⁠‘શું કામ ન કરાય? રેંકડી ફેરવવામાં જે સુખ છે એ અમલદારી ક૨વામાં નથી, ઓતમચંદભાઈ!’

⁠આમ વાતો ચાલતી રહી ને ઘોડાગાડીઓ આગળ વધતી રહી. ખળખળિયા પાસે આવતાં ઓતમચંદે કહ્યું: ‘અહીં એક દિવસ મારી મરણપથા૨ી નખાઈ ગઈ’તી, પણ એભલભાઈ આહીરે આવીને મને જિવાડી દીધો–’

⁠‘અમે બધી વાત જાણી લીધી છે, ઓતમચંદભાઈ! તમે તો બહુ વીતક વેઠ્યાં—’

⁠‘તોય તમારા કરતાં ઓછાં!’ ઓતમચંદે કીલાને કહ્યું, ‘તમારી સંધીય વાત પણ મેં જાણી લીધી છે.’

⁠‘તો તો આપણે બેય જણા સરખા ને સમદુખિયા!’

⁠‘દુખિયા ગણો કે સુખિયા ગણો!' ઓતમચંદે તારણ કાઢ્યું: ‘કદાચ આપણા જેવા સુખી બીજા કોઈ નહીં હોય!

⁠‘મને પણ એમ જ લાગે છે!’

⁠ઘોડાગાડીઓએ અમરગઢ સ્ટેશનના પાટા ઓળંગ્યા, કે તુરત જ ઘૂઘરાના અવાજ સાંભળીને બાવા-સાધુઓથી માંડી સ્ટેશન માસ્તર સુધીનાં માણસો ઘૂમરી વળીને ગાડીઓને ઘે૨ી વળ્યાં અને ‘શેઠ! શેઠ!' કહીને સહુ સિફારસ કરવા લાગ્યાં.

⁠ગાડી વાઘણિયાને મારગે આગળ વધી એટલે કીલાએ ટકોર કરી, ‘તમારાં તો અહીં બહુ માન છે, ઓતમચંદભાઈ!’

⁠‘મારાં નહીં, મારી ઘોડાગાડીનાં. જેમ અમલદારને નહીં પણ અમલદારની લાકડીને સલામ ભરાય છે, એના જેવું જ આ છે.’ ઓતમચંદે કહ્યું, ‘હજી કાલે સવારે જ હું ઉઘાડે પગે ટાંટિયા ઘસતો અહીંથી નીકળતો, ત્યારે કોઈ ભાવ પણ નહોતું પૂછતું.’

⁠‘એ જ દોરંગી દુનિયાના રિવાજ છે!’

⁠વાતો કરતાં કરતાં થોડેક આગળ ગયા, ત્યાં તો કીલો એકાએક બૂમ મારી ઊઠ્યો:

⁠‘ગાડી ઊભી રાખો જરાક, ઘડીક ઊભી રાખો!’

⁠આગલી ગાડીમાંથી વશરામે આ હાકલ સાંભળીને ગાડી થોભાવી દીધી.

⁠‘કેમ ઊભી રખાવી ભલા?’ ઓતમચંદે પૂછ્યું.

⁠‘અરે! સામેથી મહાસતીજી વિહાર કરતાં આવે છે!...મીઠીબાઈસ્વામી પધારે છે!’ કીલાએ કહ્યું, ‘વરઘોડિયાંને મહાસતીને વંદન કરવાનો આવો મજાનો મોકો ક્યાંથી મળત?’

⁠થોડી વા૨માં તો સામેથી શ્વેત વસ્ત્રધારી મીઠીબાઈ અને એમનાં શિષ્યાઓ આવી પહોંચ્યાં, એટલે બંને ગાડીઓમાંથી સહુ નીચે ઊતરી ઊભાં રહ્યાં.

⁠કીલાએ એકબીજાના ખબરઅંતર પૂછ્યાં. મીઠીબાઈએ કહ્યું કે ‘અમે વિહાર કરીને હવે અમરગઢ જઈએ છીએ.’ કીલાએ નરોત્તમનાં લગનના સમાચાર આપ્યા તેથી સાધ્વીજી ખુશ થયાં.

⁠કીલાએ નરોત્તમને કહ્યું: ‘તમે વરઘોડિયાં મહાસતીજીને પગે લાગો!’

⁠નવદંપતી વંદન કરવા જતાં હતાં ત્યાં જ મીઠીબાઈએ કહ્યું, ‘મને નહીં, કીલાભાઈને વાંદો!’

⁠‘અરે આ શું બોલ્યાં?’ કીલાએ પૂછ્યું.

⁠‘સાચું જ બોલી છું!’ મહાસતીએ કહ્યું, ‘અમે તો સંસાર છોડીને આ માથું મૂંડાવીને સાધુ થયાં, પણ તમે તો સંસારમાં રહીને સાધુથીયે સવાયા થઈ ગયા છો!

⁠‘મને શ૨માવો મા, મહાસતીજી!’

⁠‘તમ જેવા સાચા સાધુને જોઈને શ૨માવાનું તો હવે અમ જેવાંને જ રહ્યું—’

⁠એક વેળા સંસારમાં જેમનું વાગ્દાન થયેલું, એવી બે સાધુચરિત વ્યક્તિઓને એકબીજાથી તદ્દન નિરાળા એવા ભિન્ન ભિન્ન લેબાસમાં ઊભેલી સહુ જોઈ રહ્યાં.

⁠ફરી ગાડીઓ આગળ વધી ને વાઘણિયાની સીમ બબ્બે ગાડીઓના ઘૂઘરાથી ગાજી ઊઠી.

⁠આગલી ગાડીમાં નરોત્તમ અને ચંપાની જોડ બેઠેલી. લાડકોર હજી પણ કોઈ કોઈ વાતના સંદર્ભમાં પતિ અંગે ફરિયાદ ૨જૂ કર્યા કરતી હતી:

⁠‘બટુકના બાપુ મીંઢા તે કાંઈ મીંઢા! મને તો સાવ અજાણી જ રાખી. છેવટની ઘડી લગી કાંઈ કીધું જ નહીં, એવા મીંઢા!’

⁠બટુક ફરી પોતાનાં પ્રિય પક્ષીઓ સાથેની મૂંગી ગોષ્ઠીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઈ કોઈ વાર એ પાવો વગાડતો અને કોઈ ઊડતા પક્ષીની ઓળખ પૂછતો: ‘કાકા, ઓલ્યું ઊડે છે, એને શું કહેવાય?’

⁠એવામાં, એક વાર નરોત્તમ અન્યમનસ્ક હતો ત્યાં જ બટુકની ચકોર નજ૨ ખેતરમાં પક્ષીયુગલ પડી. આજ સુધીમાં આ કિશોરે એ પક્ષીની જાત કદી જોયેલી નહીં તેથી એ પૂછવા લાગ્યોઃ

⁠‘કાકા, ઓલ્યાં બે ઊભાં, એને શું કહેવાય?’

⁠પણ નરોત્તમ બેધ્યાન હતો તેથી, કે પછી પોતાને પરિચિત એ પક્ષીયુગલ જોઈને એ કશાક ઊંડા વિચારમાં ઊતરી ગયો તેથી, એ બટુકને કાંઈ ઉત્તર ન આપી શક્યો.

⁠બટુકે ઉપરાઉપરી ત્રણ વાર પૂછ્યું, ‘કાકા, કહો ને, ઓલ્યાં બે ઊભાં એને શું કહેવાય?’

⁠ચાંચમાં ચાંચ પરોવીને ઊભેલી એ સારસ-જોડલી ત૨ફ નરોત્તમ એકીટશે તાકી રહ્યો હતો, ત્યાં જ બટુકની અધી૨૫ સંતાપવા ચંપાએ એને ઉત્તર આપી દીધો:

⁠‘એ એક પંખીનું નામ સારસ અને બીજીનું નામ સારસી: એનું એક રમકડુંય હું તમારા સારુ લાવી છું, હોં બટુકભાઈ!’

⁠પોતે જ શારદા મારફત મોકલાવેલા સારસ-યુગલના પ્રતીકનો આવો અણધાર્યો ઉલ્લેખ સાંભળીને નરોત્તમ શ૨માઈ ગયો. જાણે કે એને પજવવાના જ ઉદ્દેશથી ચંપાએ બટુકને વધારે લાલચ આપી. ઘરે જાતાંવેંત જ હું તમને મારી પેટીમાંથી આ પંખીનું રમકડું કાઢી દઈશ, હોં બટુકભાઈ!

⁠નરોત્તમે કૃત્રિમ રોષભરી આંખે ચંપા તરફ જોયું, ત્યાં બટુકને સંભળાવવાના બહાના તળે નરોત્તમને સંભળાવ્યું:

⁠‘ને પછી આ ખેતરનાં સારસ-સારસી રોજ આપણા ઘરમાં જ રહેશે, સમજ્યા ને બટુકભાઈ!’

⁠આ સહુમાં સ્થિતપ્રજ્ઞ શો સ્વસ્થ વશરામ એના ભજનગાનમાં ગુલતાન હતો. એ તો પોતાની મીઠી હલક વડે આખા વગડાને ભરી દેતો ગાતો હતો:

ખૂંદી તો ખમે માતા પ્રથમી
⁠ને વાઢી તો ખમે વનરાઈ...
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે
⁠ને નીર તો સાયરમાં સમાય...’