સરળ અલંકાર-વિવેચન/ઉદાત્ત
જ્યારે વર્ણન દ્વારા વસ્તુ કે પદાર્થની સમૃદ્ધિ દર્શાવાતી હોય ને એ રીતે ઉદાત્તતા સૂચવાતી હોય ત્યારે આ અલંકાર થાય છે. જેમકે :
શુકજી કહે સાંભળ નરપતિ, સુદામે દીઠી દ્વારામતી;
કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યાં કાંગરે,
કોઠા કોશિસાં શોભે પર્મ, જેવું વિશ્વકર્માનું કર્મ;
દુર્ગે ધજા ઘણી ફરફરે, દુંદુભિ ઢોલ ત્યાં ગડગડે.
સુદર્શન ફરતું ત્યાં સૂસવે, ગંભીર નાદ સાગર ઘુઘવે.
દ્વારામતીનું સમૃદ્ધિ ભરપૂરવર્ણન અહીં કર્યું હોવાથી આ ઉદાત્ત અલંકારનો દૃષ્ટાંત છે.
અથવા ‘કાદંબરી’માં આવતું ઉજ્જયિનીનું વર્ણન જુઓ : અવંતી દેશમાં ઉજ્જયિની નામે નગરી છે. તેની શોભા અમરલોકથી પણ ચડિયાતી છે. સકળ ત્રિભુવનનું તે ભૂષણ છે... શંખ, છીપ, મોતી, પ્રવાલ, મરકતમણિ તથા સુવર્ણ—રજકણરૂપી રેતીના ઢગથી ભરેલા, અગસ્ત્ય મુનિએ પીને ખાલી કરી નાખે હોય તેવા વિશાળ સમુદ્ર જેવા મોટા બજારના રસ્તાઓથી તે શોભી રહી છે... દિશાએ દિશાએ આવેલા હાથીદાંતના ઝરૂખાથી તે શ્વેત બની ગઈ છે... મહેલની અગાશીમાં સૂતેલી પુરસુંદરીઓનાં મુખ જોઈને મોહી પડેલો ચંદ્ર, ત્યાંની ચંદનરસથી શીતળ બનેલી મણિભૂમિ ઉપર પોતાની પ્રતિમાના રૂપમાં આળોટે છે. પિંજરમાંની શુકસારિકાઓ પણ પાછલી રાતે જાગીને ઉચ્ચ સ્વરે પ્રભાતનાં મંગળ ગીત ગાય છે. અહીં ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ, તદ્ગુણ વગેરે અલંકારો જુદાં જુદાં વાક્યોમાં જણાશે. પરંતુ સમગ્ર વર્ણન ઉજ્જયિનીની સમૃદ્ધિ સુંદર રીતે વ્યક્ત કરે છે. માટે અહીં સમગ્ર વર્ણનમાં ઉદાત્ત અલંકાર રહેલો છે.