સરળ અલંકાર-વિવેચન/તદ્‌ગુણ

(૨) તદ્‌ગુણ :

બે અસમાન-અણસરખી વસ્તુઓમાં-ઊતરતા ગુણવાળી વસ્તુ પોતાનાથી ચઢિયાતા ગુણવાળી વસ્તુના સંબંધમાં આવી તેનો વિશેષ ઉજ્જવલ કે વિશેષ બળવાન ગુણ ગ્રહણ કરે, ત્યારે આ તદ્ગુણ અલંકાર થાય છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ : અનેક રત્નાભૂષણોની કિરણમાળામાં તેના અવયવ ઢંકાઈ જવાથી, હજારો ઇન્દ્રધનુષથી છવાઈ ગયેલો વર્ષાઋતુનો દિવસ હોય એવો શૂદ્રક રાજા જણાતો હતો.

(કાદંબરીકથા)


અહીં શૂદ્રક રાજાનો રંગ તો સુવર્ણના જેવો છે. પરંતુ અનેક રત્નોની આભાને લીધે એનો મૂળ રંગ બદલાઈ જાય છે. અલંકારોરૂપી ઇન્દ્રધનુષથી એના અવયવો ઢંકાઇ જાય છે ને તેથી જાણે વર્ષાઋતુનો ધૂંધળો, ઝાંખો ભૂરો દિવસ હોય, એમ તે દેખાય છે. અહીં ઉત્પ્રેક્ષા આ જાતની કરી છે તેથી ઉત્પ્રેક્ષા અલંકાર છે, પણ તે ઉત્પ્રેક્ષા તદ્ગુણ અલંકારને લીધે જ શક્ય બની છે. રાજાનો મૂળ રંગ જાણે પોતાપણું ખુવે છે ને અનેક રત્નાભૂષણોનો રંગ ધારણ કરે છે, માટે અહીં તદ્ગુણ અલંકારયુક્ત ઉત્પ્રેક્ષા છે. એવું જ આ દૃષ્ટાંત જુઓ: અહા! તે સુંદરીના વદનને પદ્મ માનીને ભમતો ભમરો, સુંદરીના દાંતમાંથી નીકળતાં શ્વેત કિરણોને લીધે કેવો સફેદ બની જાય છે!—અહીં પણ બે અલંકાર જણાશે. સુંદરીના વદનમાં ભમરાને પદ્મની ભ્રાંતિ થાય છે માટે અહીં ભ્રાન્તિમાન અલંકાર છે; પણ તે ઉપરાંત તદ્ગુણ પણ છે. સુંદરીના વદન પર ઊડતો ભમરો સુમુખીના સફેદ દાંતમાંથી નીકળતાં કિરણોને લીધે પોતાનો કાળો રંગ તજી દે છે ને સાવ શ્વેત બની જાય છે, માટે અહીં તદ્ગુણ અલંકાર બને છે. માઘના શિશુપાલવધમાં રૈવતક પર્વતનું વર્ણન આવું જ મનોહર તદ્ગુણાલંકારથી ભરેલું છે : લીલા રંગવાળા સૂર્યના આ અશ્વો, ગરૃડના મોટાભાઈ અરુણના રંગથી (અરુણ સારથિ હોવાથી) રંગાઈને લાલ બની જાય છે, પરંતુ રૈવતક પર્વત પાસે આવતાં, લીલા વાંસ જેવા ત્યાંના મરકતમણિના તેજમાં આ અશ્વો પાછા મૂળ રંગ પામે છે. અહીં તદ્ગુણ અલંકાર બે વાર યોજાયો છે. સૂર્યના અશ્વો લીલા રંગના છે, પણ અરુણના ચઢિયાતા રંગને લીધે તે લાલ બની જાય છે. ત્યાં રથ રૈવતક પર્વત પાસે આવે છે ને અરુણના રંગ કરતાં ય ચઢિયાતો, વધુ ઘેરો, લીલો રંગ ધરાવતા મરક્તમણિઓના તેજમાં રંગાઈને અશ્વો પાછો મૂળ લીલો રંગ ધારણ કરે છે. આમ અહીં બે વાર કવિએ તદ્ગુણ અલંકારનો ચમત્કૃતિભર્યો પ્રયોગ કર્યો છે. સામાન્ય, મીલિત, અતદ્ગુણ વગેરે અલંકારો તદ્ગુણની સાથે સામ્ય ધરાવે છે. પણ અહીં એની સૂક્ષ્મ ચર્ચા અનાવશ્યક છે. તદ્ગુણ અલંકાર કવિતામાં આમ એક જાતની ચમત્કૃતિ લાવે છે તે જણાશે. આગળ ભ્રાંતિમાન અલંકારના ઉદાહરણમાં પોપટ ને ભમરાનું જે ઉદાહરણ આપેલું છે તે શુદ્ધ ભ્રાંતિનું છે, રંગપલટાનું નથી, માટે એમાં તદ્ગુણ અલંકાર નથી તે જણાશે.