સરળ અલંકાર-વિવેચન/વિનોક્તિ
આ અલંકાર પણ ‘સાર’ અલંકારની જેમ ઉક્તિની જ લાક્ષણિકતાનું ઉદાહરણ છે; વસ્તુતઃ આ અલંકાર સ્વતંત્ર અલંકાર નથી. વિનોક્તિ અલંકારમાં લગભગ સર્વત્ર દૃષ્ટાંત (કે પ્રતિવસ્તૂપમા) અલંકાર રહેલો હોય છે; પણ રજુઆતમાં અહીં ‘વિના’ શબ્દ ઉપર બધે ભાર મૂકાતો હોય છે તેથી દૃષ્ટાંત કરતાં વિનાપણું વધારે ધ્યાન ખેંચતું હોય છે. તો, રજુઆતમાં એકના વિના બીજું શોભતું નથી, એમ કાવ્યમય રીતે જ્યારે દર્શાવવામાં આવ્યું હોય અથવા એકના વિના જ બીજું શોભે છે એમ દર્શાવવામાં આવ્યું હોય, ત્યારે વિનોક્તિ અલંકાર થાય છે. ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’ એ. પ્રેમાનંદની ‘મામેરા’માંની પંક્તિ વિનોક્તિનું સુંદર ઉદાહરણ છે. નીચેનું ઉદાહરણ-વસ્તુતઃ દૃષ્ટાંત અલંકાર-પણ વિનોક્તિ છે :
ચંદ્ર વિના જેમ જામની રે, દીપ વિના જેમ ધામ;
ત્યમ વિભીષણ બાંધવ વિના, દીસે ઉજ્જડ લંકાધામ.
અથવા આ ઉદાહરણ જુઓ :
નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફુલ,
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.
અહીં કવિ વિનોક્તિ દ્વારા કહે છે કે જેમ આશા વિહેણી જીંદગી હોઈ શકતી નથી, ડાળી વિના ફૂલ હોઈ શકતું નથી, પૃથ્વી વિના આધાર જ નથી, તેમ માતા વિના કુટુંબ પણ નથી. હવે વિનોક્તિની માલા (ખરું જોતાં તો દૃષ્ટાંતમાલા) રૂપ નીચેનું ઉદાહરણ જુઓ: ‘આમ કહેતી કહેતી એ (કાદંબરી) ત્યાં આવી, એટલે અમૃતરહિત સાગર જેવા, ચંદ્રવિહોણા નિશાકાળ જેવા, તારાકણ વિનાના ગગન જેવા, કુસુમ વિનાના ઉપવન જેવા, મણિવિહોણા હાર જેવા, પ્રાણવિહોણા ચંદ્રાપીડને એણે દીઠો.’