સરળ અલંકાર-વિવેચન/વિવિધ અર્થાલંકાર

વિવિધ અર્થાલંકાર

હવે શબ્દમાંથી આપણે અર્થ તરફ ને તેથી અર્થાલંકાર તરફ વળીએ. જે અલંકારમાં શબ્દ કરતાં અર્થનું જ અવલંબન વિશેષપણે લેવામાં આવે છે. તે અર્થાલંકાર કહેવાય છે. અલબત્ત ‘શ્લેષ’ અલંકાર એવો છે જે શબ્દાલંકાર ને અર્થાલંકાર બંને વિભાગમાં આવી શકે. પણ એવા જૂજ અપવાદ બાદ કરતાં, અર્થોને અવલંબીને રચાયેલા અલંકારોની ચર્ચા અહીં આપણે કરીશું. શબ્દાલંકાર કરતાં આ ‘અલંકાર વધુ મહત્ત્વના છે, કેમકે કાવ્યના અર્થ સાથે, ભાવને પોષનાર અર્થ સાથે તે સંકળાયેલા છે. પણ આ અલંકારોમાં નવીનતા હોય, તીવ્રતા હોય, યોગ્યતા હોય, તો જ તે શોભે ને કાવ્યમાં સાર્થકતા આણી શકે. હવે આપણે ઔપમ્યમૂલક અલંકારોની પહેલાં ચર્ચા કરીશું.